અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના વન મહોત્સવ અંતર્ગત ૭૬મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે યોજાઈ હતી. દર વર્ષે વન વિભાગ અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાતા આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહેતી હોય છે. રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડાએ જાહેર મંચ પરથી પોતાની સ્પીચમાં આ બાબતે કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ વન વિભાગ પૂરતું નથી અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રનો પણ છે જો કે વહીવટી તંત્રના અધિકારી ઉપસ્થિત રહ્યા નથી
જોકે, આ વખતે મેઘરજ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના વન મહોત્સવના કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. વન સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ સાથે જોડાયેલા જિલ્લા કક્ષાના મહત્વના કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત ન રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોના જતન અને જનભાગીદારી વધારવાનો મહત્વનો સરકારી અભિયાન છે. આવા કાર્યક્રમમાં વન વિભાગની સાથે જિલ્લા વહીવટી તંત્રની પણ સક્રિય ભાગીદારી અપેક્ષિત હોય છે.
મેઘરજ ખાતે યોજાયેલી ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ગેરહાજરી પાછળનું કારણ શું હતું અને શું અગાઉથી આ અંગે કોઈ આયોજન કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વહીવટી તંત્રની ગેરહાજરી અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.






