ભિલોડા-ઈડરના મુખ્ય ધોરીમાર્ગ પર છેલ્લા ૭ મહિનાથી સ્ટ્રીટ લાઈટ સદંતર બંધ હાલતમાં હોવાથી રાત્રી દરમ્યાન અંધારપટ છવાયો છે, જેના કારણે રાત્રે અવર-જવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાયો છે.
ભિલોડામાં ડિવાઈડર નવીન બનાવ્યા બાદ સદંતર અંધારપટ છવાયો છે.જાગૃત ગ્રામજનો અને રાહદારીઓના જણાવ્યા અનુસાર, નવીન ડિવાઈડરનું કામ શરૂ કરવાના ભાગરૂપે આ ધોરીમાર્ગ પરની જૂની સ્ટ્રીટ લાઈટો દૂર કરવામાં આવી હતી. પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, ડિવાઈડરનું સમગ્ર કામકાજ પૂર્ણ થયાને લાંબો સમય વીતી ગયો છતાં આજ દિન સુધી નવીન લાઈટો બેસાડવામાં આવી નથી ? પરિણામે, સાંજે અંધારૂ થતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે અંધારપટ છવાઈ જાય છે.
અકસ્માતોનું જોખમ અને પશુઓનો અડ્ડો બની જાય છે.સ્ટ્રીટલાઈટોના અભાવે રાત્રીના સમયે અકસ્માત સર્જાવાની ભીતિ સતત સેવાઈ રહી છે. રોડની વચ્ચે અચાનક રખડતાં પશુઓ બેસી જતા હોવાને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.અંધારાને કારણે વાહનચાલકોને પશુઓ સમયસર દેખાતા નથી, જેથી ગંભીર દુર્ઘટના સર્જાવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
જાગૃત વિકાસ મંડળ, પ્રમુખ, દિલીપભાઈ અસારી સહિત જાગૃત ગ્રામજનોની ઉગ્ર રજૂઆત અને ચીમકી આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક જાગૃત વિકાસ મંડળ દ્વારા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. ભારે રોષ વ્યક્ત કરતા ચીમકી ઉચ્ચારી છે કે, આગામી ૭ દિવસની અંદર જો નવીન સ્ટ્રીટ લાઈટો શરૂ કરવામાં નહીં આવે, તો નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે અન્ન ત્યાગ કરી ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે, સ્થાનિક પ્રશાસન દ્વારા આ મામલે વહેલી તકે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર બુલંદ માંગ ઉઠી રહી છે.




