કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન થતાં ગુજરાત વિધાનસભા ગૃહમાં 2 મિનિટનું મૌન પાળીને આજની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી
ભીલોડા બેઠકના ધારાસભ્ય અનિલ જોષીયારાનું 69 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયગાળાથી બીમાર હતા. ,ગત જાન્યુઆરી મહિનામાં કોરોનાગ્રસ્ત થયાં હતા. કોરોના સંક્રમિત થયાં બાદ તેમને ગત મહિને ચેન્નાઈ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે લાંબી સારવાર બાદ તેમનું ચેન્નાઈ ખાતે નિધન થતાં સમર્થકો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મલ્ટી ઓર્ગન ફેલ થતા તેમનું નિધન થયું હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયાં છે. ડૉ. અનિલ જોશિયારાના વતન ભિલોડામાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે





