લેખક-મહેન્દ્ર બગડા
છેલ્લા ચાર દિવસથી ટીવી ન્યૂઝના દર્શકોને દિવાળી આવી ગઈ છે. ભારત પાકિસ્તાન સેમીફાઈનલની રોમાંચક મેચમાં જે મજા આવે તે એક ક્રાઈમ સ્ટોરીમાં આવી રહી છે. મોટા ભાગના દર્શકો ક્રાઈમ શો જોવાનુ પસંદ કરતા નથી તેવો મારો વ્યક્તીગત અનુભવ રહ્યો છે. માંડ પાંચ ટકા લોકોને ક્રાઈમ અને થ્રિલીંગ ન્યૂઝ પસંદ આવતા હોય છે. તેના ખાસ દર્શકો છે અને રાત્રીના અગ્યાર વાગ્યાનો સ્લોટ મારા મારી ખુન ખરાબા માટે ટીવીમાં ફાળવી દેવામાં આવ્યો છે.
પરંતુ છેલ્લા ચાર દિવસમાં એવી ઘટના બની કે આખો દેશ, જી..હાં આખો દેશ ટીવી સામે ચોંટી ગયો. પહેલા સમાચાર આવ્યા કે ઉત્તરપ્રદેશના માફિયા ડોન અતિક અહમદનો જૂવાન દિકરો અસદ અમહમદ કે જે ઉમેશ પાલ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે તે અને તેના સાથીદાર ગુલામને પોલિસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો. દેશભરમાં સનસનાટી મચી ગઈ. કારણ કે અતિક અહેમદ કોઈ સામાન્ય ગૂંડો નથી પરંતુ ચાલીસ વર્ષથી નિવડેલ ગુન્ડો છે. આ નવો શબ્દ છે, જેમ નિવડેલ દરજી, કે નિવડેલ ડોક્ટર હોય તેમ નિવડેલ માફિયા.
અમદાવાદથી જ્યારે તેને ઉત્તર પ્રદેશ પોલિસ લઈ જતી હતી ત્યારે મહિલા રિપોર્ટરે તેમના ઉભા ઉભા મુતરતા હોય તેવા શોટ કેમેરામેન પાસે લેવડાવ્યા હતા, એટલે તેના પરથી અંદાજ મુકી શકાય કે અતિકથી કેટલી મોટી ટીઆરપી આવતી હશે.
અતિક હજુ તો ઉત્તર પ્રદેશ પહોંચ્યો ત્યાં તો તેના બેટા અને તેના સાગરીતને પોલિસે ઠાર માર્યા.
જાહેરમાં ગોળીઓ છોડી , દહેશત ઉભી કરનાર અતિકના દિકરાના મોતનો અફસોસ અતિક સીવાઈ દેશમાં કોઈને નહી જ થયો હોય તેવો અંદાજ છે. કારણ કે રસ્તા પર સરાજાહેર ગોળીઓ છોડી બે નિર્દોષ અને પ્રજાની રખેવાળી કરનાર પોલિસને પણ આ અસદે ઉડાવી દીધા હતા. એટલે અસદના મોતના ન્યુઝ દેશના લોકો રસપુર્વક નિહાળી રહ્યાં હતા.
ત્યાં અચાનક અશ્વિનિ ભટ્ટની નોવેલ કે આગાથા ક્રિસ્ટની નોવેલ કે પછી રાજીવ રાયની ફિલ્મમાં જે જોરદાર વળાંક આવે તેવો વળાંક આવ્યો. સેંકડો ટીવી કેમેરા અને રિપોર્ટરની હાજરીમાં રિપોર્ટર બનીને આવેલા ત્રણ સાવ લવરમુંછિયા છોકરાઓએ દેશના સૌથી મોટા માફિયા અને તેના ભાઈને નવ સેકંડમાં જમીનદોસ્ત કરી દીધા. કુલ વીશ જેટલી બુલેટ બંને ભાઈઓના શરિરમાં ધરબી દેવામાં આવી. માફિયાઓનો અંત આવી ગયો. ઉત્તરપ્રદેશના લાખો લોકોએ રાહતનો શ્વાસ લીધો.
આ સાથે જ ટીવીએ જે રીતે મુંબઈ ટેરરીસ્ટ એટેક ગ્રાફિકસ સાથે દેખાડ્યા કર્યા હતા તે રીતે અતિક અને તેના ભાઈના હત્યાના વિઝ્યુલ સળંગ ચોવિસ કલાક બતાવ્યા કર્યા. આ વિઝ્યુઅલ એટલા રોમાંચક અને થ્રીલીંગ હતા કે દેશના કરોડો દર્શકો સતત ટીવી સામે ચોંટી રહ્યાં.
એક તબક્કો તો એવો આવી ગયો કે બીસીસીઆઈના હોદ્દેદારો યોગી આદિત્યનાથને કદાચ આવેદનપત્ર પાઠવત કે ભઈ સાબ, હવે આ થોડુ ઓછુ કરો યુપીના કારણે લોકોને આઈપીએલ જોવામાંથી રસ ઉડી ગયો. અનેક દર્શકો કન્ફ્યુઝ થઈ ગયા કે યુપી જોવુ કે આઈપીએલ.
આઈપીએલ કરતા પણ વધુ ચોગ્ગા છગ્ગા યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં લાગવા લાગ્યા છે.
ટીવી પર સતત અતિકની ચર્ચા અને તેની ડિબેટ ચાલી રહી છે. અતિકની કરમકુંડલીથી લઈ તેના ઈતિહાસને ફરી ફરી રજુ કરવામાં આવી રહ્યો છે. મોટા ભાગના શાંતિપ્રિય દેશવાસીઓ ગુંડાઓના નાશથી રાજી થતા હોય છે. પરંતુ જેમને વોટ બેંક સાથે લેવા દેવા છે તેવા પોલિટિકલ પાર્ટીના નેતાઓ આ હત્યાકાંડને બર્બર, અલોકતાંત્રીક માને છે.
જો કે એક તર્ક એવો પણ છે કે જે માફિયાઓ ક્યારેય દેશના કાયદાને માનતા નથી, જે ચાલુ ધારાસભ્યને એકે સુડતાલીસથી વિંધી નાખી ફરી સાંસદ થાય છે તેની હત્યા પર આટલી કાગારોળ મચાવવી ઠીક નથી.
જે લોકો કાયદાને માન આપે છે તેના માટે જ કાયદાનુ મહત્વ અને અસ્તીત્વ છે. હુ જો કાયદાને માનતો નથી એને કાયદો હાથમાં લવ છું તો હુ પછી કાયદાના રક્ષણની અપેક્ષા રાખી શકુ નહી. અતિકના કેસમાં પણ એવુ જ થયુ છે જે અતિકને કોઈ જજ પણ સજા આપવાની હિંમત નહોતુ કરતુ તેનો આવો અંત એ ગુનેગારો માટે ચેતવણી સમાન જ છે.
અતિક હત્યાકાંડને ભાજપ અને વિપક્ષ પોત પોતાના ફાયદા ગેરફાયદા સાથે જોડી ચગાવી રરહ્યાં છે. પરંતુ દેશના મોટાભાગના શાંતીપ્રિય, કાયદાને માનનાર, તમામ પ્રકારના ટેક્સ ભરનાર પ્રજા આવા ગુંડાના અઁત સાથે ખુશી અનુભવે છે અને આવા ગુંડાઓ સમાજ માટે પડકારરુપ અને જોખમી હોવાનુ માને છે.
નોંધ- લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને ટીવી શો ભાઈ ભાઈના એન્કર છે. પ્રતિભાવ માટે વોટ્સએપ નંબર-9909941536
આ વિડીયો લગાવી દેજો
ખૂબ સરસ સાહેબ