તા.ર૪ એપ્રિલથી ર૬ એપ્રિલ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે અને તા.ર૭ એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
અરવલ્લી જિલ્લામાં તમામ નાગરિકોને તબક્કાવારનાં સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અપીલ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યની સરકારી કચેરીઓમાં ઇન્ફરમેશન ટેક્નોલોજી-ઇ ગવર્નન્સના માધ્યમથી પ્રજાજનોની ફરિયાદોના વાજબી નિરાકરણ માટે ગુજરાતમાં શરૂ કરાવેલા દેશભરના પ્રથમ અભિનવ પ્રયોગ ‘સ્વાગત’ના સફળ બે દાયકા પૂર્ણ
રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી ગુજરાતે દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ તા.ર૪ એપ્રિલ-ર૦૦૩ થી શરૂ કર્યો હતો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’સ્વાગત હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે પ્રસ્થાપિત થઇ ગઇ છે.
‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ આગામી તા.ર૪ એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી ર૧માં વર્ષમાં પ્રવેશ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.
તા.ર૭ એપ્રિલે જિલ્લા સ્વાગતનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તાલુકા સ્વાગતમાં લેવાયેલા પ્રશ્નોની સમીક્ષા કરવા સાથે તાલુકા કક્ષાએ હલ ન થયા હોય તેવા પ્રશ્નોનું જિલ્લા સ્વાગતમાં નિરાકરણ લાવવાનું આયોજન કરાશે. આ ઉપરાંત જિલ્લા સ્વાગતમાં રજુ થયેલા પ્રશ્નોનું ઝૂંબેશ સ્વરૂપે નિવારણ થાય તે માટે દરેક આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના ગ્રામીણ નાગરિક સુધી ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તારી ગ્રામ કક્ષાએ જ તેના પ્રશ્નો રજુ કરી શકાય અને નિવારણ પણ આવી જાય તેવી ‘ઘર આંગણે સરકાર’ની પરંપરા ‘સ્વાગત’થી ઊભી કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દાયકાની આ સુશાસન પરંપરાને વધુ લોકાભિમુખ બનાવી પ્રજાજનોના પ્રશ્નોના સુચારૂ નિવારણ માટે પ્રતિબદ્ધ છે તેની જન અનૂભુતિ આ સ્વાગત સપ્તાહથી લોકોને થાય તેવું સુદ્રઢ આયોજન સમગ્ર વહીવટીતંત્રએ હાથ ધર્યુ છે.





