ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરની કામગીરી પર સવાલો ઉઠતા હોય છે, ગ્રામજનો કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, પણ તેમની રજૂઆતોને ધ્યનમાં નથી લેવાતી. આવો જ કિસ્સો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં સામે આવ્યો છે. વિજયનગરના બાલેટા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરની કામગીરી બાબતે સરપંચે ખુલાસો માંગતા ઓપરેટર ચાવી ફેંકી ચાલતી પકડી હતી, જે બાદ ઓપરેટરના સમર્થનમાં તલાટી સ્થળ છોડી ચાલ્યા ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને સરપંચ સહિતના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો અને પંચાયતને તાળુ મારી દીધું હતું.

સરંપચ સહિતના હોદ્દેદારોએ ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતુ કે, મંગળવારના રોજ પંચાયતની બેઠક મળી હતી, જેમાં તલાટી હિતેષભાઈ ખરાડીને પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્રભાઈ નિનામાની કામગીરી બાબતે ખુલાસો માંગ્યો હતો. પંચાયતના હોદ્દેદારોએ ખુલાસો માંગતા જ કોમ્પ્યુટર ઓપરેટરએ જણાવ્યું કે, તમે મારી કામગીરી બાબતે કોઇ જ સવાલ કરી શકતા નથી અને પંચાયતની ચાવીઓ ફેંકીને પંચાયત છોડી ચાલ્યો ગયો હતો, જે બાદ તલાટી હિતેષભાઈ ખરાડી પણ કોમ્પ્યુટર ઓપરેટરના સમર્થમાં ઉતરી પડ્યા હતા અને પંચાયતમાં હોબાળો મચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટના પછી સરપંચ તેમજ સભ્યોએ પંચાયતને તાળુ મારીને ટીડીઓને લેખિતમાં તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરના મનસ્વીભર્યા વર્તન અંગે રજૂઆત કરી છે.
ગામના પ્રથમ નાગરિકની જ વાત અધિકારીઓ ન માનતા હોય તો તો પછી ગ્રામજનોની વાત ક્યાંથી સાંભળતા હશે તેવા પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે.





