28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રને ભવ્ય આયોજનથી લોકો મનમુકી...

શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રને ભવ્ય આયોજનથી લોકો મનમુકી થનગન્યા

0
154

અરવલ્લી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો. રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી, મોડાસા દ્વારા આયોજિત બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રથમ દિવસે પ્રારંભ કરાયો. પ્રથમ દિવસે કચ્છી કોયલ ગીતા રબારીના સૂરથી લોકો થનગની ઉઠ્યા હતા.

રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવ ૨૦૨૪-૨૫નો પ્રારંભ કરવામાં આવ્યો. શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કૃષ્ણલીલા, કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. લોકપ્રિય સંગીતકાર ગીતા રબારીના કોકિલકંઠી અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. હાસ્ય કલાકાર ભારત રાવલે લોકોને હાસ્ય રંગમાં રંગી દીધા હતા.

લોકોને સંબોધતા મંત્રી ભિખુસિંહ પરમારે જણાવ્યું કે આજે આ પવિત્ર શામળાજીની ધરતી પર આપ સૌને જોઈને મને અપાર આનંદ થાય છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર આપણને એકતા અને સદભાવનાનું સંદેશ આપે છે. યાત્રાધામ શામળાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સતત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.આજે આપણે સૌ મળીને શામળાજી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આ મહોત્સવ આપણને એકબીજા સાથે જોડે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. આપણે સૌ મળીને આ મહોત્સવને વધુ ને વધુ સફળ બનાવીએ.

મહોત્સવમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીક, જિલ્લા ન્યાયાધીશ આશા અંજારિયા, સાંસદ શોભનાબેન બારૈયા, સાંસદ રમીલાબેન બારા, ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા , બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર રાજેશ કુચારા , સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત શામળાજી મંદિરના પ્રતિનિધી રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા.

હજુ બીજા દિવસે પણ શામળાજી મહોત્સવ ભવ્ય રીતે ગુજરાતના ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર સહિતના કલાકારો દ્વારા ઉજવાશે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. શામળાજી મહોત્સવને જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી, મોડાસા દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!