30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines કોડિનાર : શિક્ષકે SIRની કામગીરીથી કંટાળીને કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

કોડિનાર : શિક્ષકે SIRની કામગીરીથી કંટાળીને કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

0
52

રાજ્યમાં શિક્ષણ જગતને હચમચાવી દેતી એક દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે. અહીં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ અને તણાવને કારણે એક શિક્ષકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કોડીનારના દેવળી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે. મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) ની કામગીરીના તણાવનો ઉલ્લેખ કર્યો છે.

સ્યુસાઈડ નોટમાં કામગીરીના ભારણનો ઉલ્લેખ
પ્રાપ્ત વિગતો અનુસાર અરવિંદભાઈ વાઢેર 2010થી શિક્ષક તરીકે સેવામાં હતા. હાલમાં શિક્ષકોને BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. અરવિંદભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઉદ્ભવેલા માનસિક તણાવને લીધે તેમણે આ પગલું ભર્યું છે.

શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો
આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલની સ્થિતિ એવી છે કે, ‘સરની કામગીરીના કારણે બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદારો મતદારયાદીમાં નામ શોધે છે.’SIRની કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા હોવાથી શાળાઓ સુમસામ ભાસી રહી છે અને શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે.’

3 દિવસમાં બીજા શિક્ષકનું મોત
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું.

શિક્ષક સંઘમાં રોષ આ ઘટના બાદ શિક્ષક સંઘમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંઘે આક્ષેપ કર્યો છે કે BLOની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે, તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. શિક્ષકોને ભણાવવાને બદલે અન્ય કામગીરીમાં જોતરી દેવાતા આવા ગંભીર પરિણામો આવી રહ્યા હોવાનું સંઘનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!