જેસીસ મિલ કમિટીના 50 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત પાંચ દિવસીય ભક્તિમય કથાનો ભવ્ય પ્રારંભ થયો હતો. શ્રીમદ વલ્લભાચાર્યજીના જીવન, પુષ્ટિમાર્ગ અને વૈષ્ણવ પરંપરાના તત્ત્વોથી સરોબર આ કથામાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી રસપાન કર્યું હતું.
કથા પ્રારંભે સંત શ્રી બ્રહ્મચાર્ય નિર્મલની ઉપસ્થિતિમાં જેસીસ મિલ કમિટીના ચેરમેન નવનીત પરીખ, ટ્રસ્ટી નિલેશ જોશી તથા કિરીટ શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતભરમાં મુક સેવક તરીકે જાણીતા જશુભાઈ મીઠાવાળા તથા તેમની ધર્મપત્નીનું મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
વ્યાસપીઠ પરથી મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, “શ્રી વલ્લભાચાર્યજી આજે પણ સર્વ વૈષ્ણવોના ઘરે ઘરે વસે છે. વૈષ્ણવ સંપ્રદાય અતિથિ સત્કાર, ભક્તિ અને પુષ્ટિમાર્ગથી પરિપૂર્ણ છે. વૈષ્ણવો સદાય ધર્મ, સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધતા રહ્યા છે.”
કથાકાળ દરમ્યાન ભાવસાર સમાજ ભજન મંડળની બહેનો, પ્રજાપતિ સમાજ ભજન મંડળની બહેનો, સૈયર ગ્રુપની બહેનો તેમજ જાયન્ટ્સના ભાઈઓ દ્વારા ભાવભર્યા ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પોથીયાત્રામાં જોડાયા હતા અને શ્રદ્ધાપૂર્વક કથા શ્રવણ કર્યું હતું.
જેસીસ મિલ કમિટીના સુવર્ણ જયંતી મહોત્સવ અંતર્ગત આયોજિત આ કથા કાર્યક્રમથી સમગ્ર પરિસરમાં ભક્તિ, આનંદ અને આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો. સમગ્ર કથાનું સંચાલન મિલ કમિટીના સેક્રેટરી મુકુંદ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું






