મેરા ગુજરાતમાં બ્લાઇન્ડ ક્રિકેટર ભલાજી ડામોર અને તેના પરીવારની દયનીય સ્થિતિ અંગે સમાચાર પ્રસિદ્ધ કરતા પોલીસતંત્રે નોંધ લીધી
ઘોર અંધકારમાં જીવતા ભલાજી ડામોર અને તેમના પરિવાર માટે પોલીસતંત્રમાં GRD રૂપી નોકરી અજવાળાનો દીવો પ્રગટાવશે
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના પીપરાણા જેવા નાનકડા ગામના વતની ભલાજી ડામોરે બ્લાઈન્ડ ક્રિકેટના પ્રથમ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો, પરંતુ અરવલ્લી જિલ્લા પોલિસને કારણે ક્લિન બોલ્ડ થયેલી જિંદગી હવે વિન થતી નજરે પડી રહી છે. આ માટે રમત-ગમત વિભાગ કે અરવલ્લી જિલ્લા રમત વિકાસ કચેરી નહીં પરંતુ પોલિસ તંત્રને કારણે આ શક્ય બન્યું છે. મેરા ગુજરાતે 14 સપ્ટેમ્બર 2022 ના રોજ બ્લાઈન્ડ ક્રિકેટર ભલાજી ડામોરની વ્યથા રજૂ કરી હતી, જેની અરવલ્લી જિલ્લા પોલિસ તંત્રએ ગંભીર નોંધ લીધી અને હવે ભલાજી ડામોરને ગ્રામ રક્ષક દળ સમાવવાનો નિર્ણય કર્યો છે, જેથી હવે ભલાજી ડામોરને ફૂલ રૂપી સુગંધ જિલ્લા પોલિસ તેમના જીવનમાં ફેલાવશે.
મેરા ગુજરાતે 14 સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ કરેલ અહેવાલ ની અસર
જે-તે સમયે ભલાજી ડામોર ખૂબ જ સારા ઓલરાઉન્ડર તરીકે ગણવામાં આવતા, ભાલાજીને 1998માં યોજાયેલા પ્રથમ અંધ વિશ્વ કપમાં ભારતીય ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડી હતી. જોકે ભલાજી ડામોર બકરીઓ અને ભેંસ ચરાવવાનું કામ કરતા હતા. ભાલાજીનો કરિયર રેકોર્ડ ઘણો સારો રહ્યો હતો, તેમણે કુલ 125 મેચમાં 3,125 રન બનાવ્યા અને 150 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપની શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પ્રજ્ઞાચક્ષુ ભલાજીએ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વર્લ્ડ કપ મેચની સેમીફાઈનલમાં જ્યારે ભારત દક્ષિણ આફ્રિકાની ટીમ સામે હારી ગયું હતું ત્યારે પણ સારા પ્રદર્શન માટે તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણે ભલાજી ડામોરને પ્રસંશા કરી હતી.
મેરા ગુજરાતે 14 સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ કરેલ અહેવાલ વાંચવા ક્લિક કરો – https://meragujarat.in/news/13810/
ક્રિકેટની રમતે ભલે આખી દુનિયામાં ભાલાજીની ઓળખ અપાવી હોય, પરંતુ એકવાર તેઓ ક્રિકેટના મેદાનમાંથી બહાર નીકળ્યા પછી તેમનું જીવન મુશ્કેલીઓના કાંટાઓથી લપેટાઈ ગઇ છે. તેઓ કહેતા કે, વર્લ્ડ કપ પછી તેમણે નોકરી માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સ્પોર્ટ્સ ક્વોટામાં અંધ લોકો માટે આરક્ષિત નોકરી પણ મેળવી શક્યા નહોત. એકંદરે, તેમને ઘણા વર્ષો પહેલા ગુજરાત સરકાર તરફથી માત્ર પ્રશંસા સિવાય કાંઈ જ મળ્યું નહોતું.
અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્રમાં રમત-ગમત કચેરી તેમજ જિલ્લા રમત વિકાસ કચેરીની આ જવાબદારીઓ હોય છે પરંતુ તેઓના માત્ર રમત યોજીને નામ કમાવવામાં રસ વધુ કેમ હોય છે તે સમજાતું નથી. આવા ખેલાડીઓની વહારે આવવાને બદલે તેઓથી દૂર રહેવાનું પસંદ કરવામાં બંન્ને કચેરીઓને વધારે રસ હોય તેવું પણ લાગે છે. પણ હવે ખાખી એ ભલાજીની જિંદગી મહદઅંશે બદલી નાખવાનો નિર્ણય કરીને હવે ભલાજીના જીવનમાં પ્રકાશ લાવવાનું કામ ચોક્કસથી કરશે.
અરવલ્લી જિલ્લા રમત-ગમત વિભાગ અને રમત વિકાસ કચેરીએ શું કર્યું?
ભલાજીની સ્થિતિ અંગે જે-તે સમયે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારે બંન્ને કચેરીઓના અધિકારીઓને પણ સૂચનો કર્યા હતા. અરવલ્લી જિલ્લા રમત-ગમત કચેરી તેમજ રમત વિકાસ કચેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અથવા તો ભલાજીને મદદ મળે તે માટે કેવા પ્રયાસો કરાયા છે તે અંગે જિલ્લા વહીવટી તંત્રએ રીપોર્ટ માંગવો જોઈએ. જો આ બાબતે બંન્ને કચેરીઓ દ્વારા કંઈ જ કરવામાં ન આવ્યું હોય તો નોટિસ પણ ફટકારી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.