અરવલ્લી જિલ્લામાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી બોલુન્દ્રા, જીવણપુર, ભાટકોટા, રામેશ્વરકંપા, સરડોઈ, ગઢડા, લાલપુર સહિતના પંથકમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ગઢડા સહિતના વિસ્તારમાં પશુઓનું મારણ કર્યા બાદ હવે દીપડાએ ગોખરવામાં પણ પશુનુ મારણ કરતા પશુપાલકોમાં ભય ફેલાયો છે. મોડી રાત્રે દીપડાએ પશુનુ મારણ કરતા ગ્રામજનો હવે ભયભીત થયા છે અને રાત્રે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ જેટલા દીપડાઓ ગોખરવા પંથકમાં આવી પહોંચ્યા હતા જ્યાં કળાસિંહ મકવાણા નામના ખેડૂતના ખેતરમાં પહોંચી પશુનુ મારણ કર્યું હતું. પશુપાલકોને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે જ દોડી ગયા હતા જોકે દીપડાનું ઝૂંડ ત્યાંથી પલાયન થઈ ગયું હતું, પણ સ્થાનિક લોકોમાં હવે ભયનો માહોલ વધુ જોવા મળી રહ્યો છે. છાશવારે પશુઓના મારણની ઘટનાઓ ઘટતા હવે ગ્રામજનોએ રાત્રિ ઉજાગરા શરૂ કરી દીધા છે.
અરવલ્લી જિલ્લા વન વિભાગે ગઢડા અને ભાટકોટામાં એમ માત્ર બે પાંજરા મુકીને સંતોષ માન્યો હોય તેવું પણ ગ્રામજનોનું માનવું છે. વનવિભાગ પાસે પાંજરા કેટલા છે તે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે, પાંચ થી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે તો બે પાંજરા મુકવાથી દીપડો પાંજરે કેવી રેતી આવશે તે પણ એક સવાલ છે.