દારૂ વેચાય છે તે જગજાહેર, પણ પોલિસ આ અંગે બોલવાનું કેમ ટાળ્યું?
….આખરે પોલિસે દારૂનું વેચાણ થતું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરતા, હવે સવાલો
પોલિસે સ્વીકાર્યું કે, મેઘરજમાં દારૂનું વેચાણ થાય છે
વહીવટદારોને કારણે બુટલેગરો બેફામ બન્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું
મેઘરજ પોલિસ સ્ટેશનમાં બુટલેગરનો ખાસ કોણ ?
અરવલ્લી જિલ્લામાં સતત પોલિસ અને બુટલેગરની જુગલબંધીથી પ્રજા પીડાતી હોવાના દાખલા સામે આવતા હોય છે. મેઘરજમાં એક દિવસ પહેલા રાત્રીના સમયે બુટલેગરો અને સ્થાનિક લોકો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા, મામલો બિચક્યો હતો, જોકે પોલિસ અધિકારીઓએ જે-તે સમયે દારૂને લઇને બબાલ થઈ હોવાનો કોઈ જ ઉલ્લેખ નહીં કરતા, લોકોમાં ભારે રોષ ફેલાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
મેઘરજ નગરમાં ગત શુક્રવારે મોડી રાત્રે દારૂ ની બે બોટલની કિંમત ને લઇને સામ-સામે સામાન્ય બોલા ચાલી બાદ જુથ અથડામણ થઇ હતી. બે જુથો સામ-સામે આવી જતાં પથ્થરમારો ચલાવ્યો હતો, જેમાં બીજા દિવસે એક પણ જુથ પોલીસ ફરીયાદ ન નોધાવતાં આખરે પોલીસ ફરીયાદી બની 8 શખ્સ સામે નામજોગ અને 200 ના ટોળા સામે ફરીયાદ નોધી છે, જેમાં નામજોગ નોધાયેલ ફરીયાદના આઠ આરોપીયોને પોલીસે ઝડપી પાડ્યા છે.
મેઘરજ નગરમાં ગત શુક્રવાર મોડી રાત્રે સોહીલ બાકરોલીયા પાંડરવાસ માં ચાલતા દારૂના અડ્ડા પર ઇગ્લીશ દારૂની બોટલ લેવા ગયો હતો. બુટલેગર સમીરે દારૂની બોટલનો ભાવ વધુ કહેતાં સોહીલ અને સમીર વચ્ચે દારૂની બોટલની કિંમત ને લઇને સામાન્ય બોલાચાલી થઇ હતી, ત્યાર બાદ મામલો ઉગ્ર બનતાં બંન્ને જુથના ટોળાં એકત્ર થયાં હતાં અને સામ સામે પથ્થર મારો ચાલ્યો હતો. આ સમગ્ર ઘટનામાં બંન્ને જુથના માણસો હથીયારો લઇ દોડી આવ્યા હતા. મારામારીની ઘટનામાં છ શખ્સો ને ઇજાઓ પહોચી હતી, જેમાં એક પોલીસ કર્મી અને એક હોમગાર્ડને ઇજા થઇ હતી. દિવસ દરમિયાન બંન્ને જુથ તરફથી પોલીસ ફરીયાદ ન નોધાતાં આખરે સ્થાનીક પોલીસને ફરીયાદી બનવાનો વારો આવ્યો હતો.
પોલિસે 8 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરી
1 સમીરકુમાર ભોલાજી પાંડોર
2 ધવલકુમાર કમલેશભાઈ પગી
3 રાહુલકુમાર ભીખાભાઈ નિનામા
4 રવિકુમાર પુંજાભાઈ ભગોરા
5 રૂત્વિક ધુળાભાઈ પગી
6 સોહીલ ઉર્ફે માય નેમ ઈઝ ખાન મુસાફાઈ બાકરોલિયા
7 મોહનભાઈ જાકીરભાઈ કાજી
8 વસીમ ઉર્ફે આસીફભાઈ યુસુફભાઈ લુહાર
9 બીજા 200 માણસોનું ટોળું તથા તપાસમાં આવે તે, વિગેરે
વહીવટ દારે બુટલેગર ને ફરીયાદી ન બનવા કહ્યું!
પ્રાપ્ત માહિતી મુજબ બંન્ને જુથની અથડામણ બાદ બીજા દિવસે મામલો પોલીસમાં પહોંચ્યો હતો, જેમાં વહીવટદાર પોલીસ કર્મીએ બુટલેગરને ફરીયાદી ન થવા વારંવાર સમજાવી રહ્યા હતા. આખરે બુટલેગરે વહીવટદારની વાત માની લીધી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મેઘરજ પોલિસની કામગીરી પર સવાલો
મેઘરજ નગરમાં છેલ્લા ઘણાં સમયથી પોલિસ અને બુટલેગરોની મિલીભગતથી દારૂના અડ્ડાઓ ધમધમે છે, જેને લઇને આવી ઘટના સામે આવતી હોય છે. માલપુરમાં પણ બુટલેગરોની હિંમત વધી હતી, જેને લઇને લોકોની સુરક્ષા છીનવાતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. આવી જ ઘટના મેઘરજમાં સામે આવી હતી, જેમાં આખા જિલ્લાની પોલિસના જીવ અધ્ધર થઈ જતાં, પોલિસવડા, એ.એસ.પી. સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું, ત્યારે મેઘરજ પોલિસની કામગીરી પર ચોક્કસથી સવાલો ઉઠશે. સમગ્ર ઘટના ઘટવા છતાં, પોલિસના અધિકારીઓ મીડિયા સમક્ષ સામાન્ય બોલાચાલી ગણાવી હતી, પણ પોલિસે દારૂ અંગે કોઈ જ ઉલ્લેખ નહોતો કર્યો. રાત્રે અને સવારે પોલિસે મીડિયાને આપેલી પ્રતિક્રિયામાં દારૂ અંગે કેમ કોઈ ઉલ્લેખ ન કર્યો ?