પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પાણીપતથી ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની ‘બીમા સખી યોજના’નું ઉદ્ઘાટન કર્યુ. આ યોજનાનો ઉદ્દેશ્ય 18-70 વર્ષની વય જૂથની મહિલાઓને તાલીમ અને આર્થિક રીતે સશક્ત કરવાનો છે જેમણે 10મું ધોરણ પાસ કર્યું છે.
‘બીમા સખી યોજના’ હેઠળ, હરિયાણાની 8,000 મહિલાઓ સહિત સમગ્ર ભારતમાં એક લાખ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ મળશે. તેમજ નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ કાર્યક્રમ હેઠળ મહિલાઓને વીમા એજન્ટ (બીમા સખી) બનવાની તક મળશે. બીમા સખી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને રોજગારીની તકો અને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
પીએમ મોદીએ આ યોજના વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું. તેમણે લખ્યું, “અમે દેશભરની માતાઓ, બહેનો અને પુત્રીઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છીએ. આ સંદર્ભમાં, આજે લગભગ 2 વાગ્યે, અમને હરિયાણાના પાણીપતમાં બીમા સખી યોજના શરૂ કરવાની તક મળશે. આ દરમિયાન, બીજા ઘણા પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ હું કરીશ.
પીએમ મોદી કરનાલમાં મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચર યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસનો શિલાન્યાસ પણ કરશે. ટેક્સટાઇલ સિટીના સેક્ટર 13/17માં યોજાનાર કાર્યક્રમ માટે પ્રધાનમંત્રીના સ્વાગત માટે પાણીપતને 5,000થી વધુ હોર્ડિંગ્સથી શણગારવામાં આવ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર હરિયાણામાંથી હજારો મહિલાઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
પીએમ મોદીની હરિયાણાની આ મુલાકાત ખાસ છે, કારણ કે અગાઉ 2015માં તેમણે પાણીપતમાં પ્રતિષ્ઠિત ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનની શરૂઆત કરી હતી.
22 જાન્યુઆરી, 2015ના રોજ પીએમ મોદીએ છોકરીઓને બચાવવા અને ખાસ કરીને રાજ્યમાં બગડતા જાતિ ગુણોત્તરમાં સુધારો કરવા માટે પાણીપતથી ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના શરૂ કરી. આ યોજનાનો હેતુ નાગરિકોને લિંગ ભેદભાવ સામે શિક્ષિત કરવાનો અને કન્યાઓ માટે કલ્યાણ સેવાઓની અસરકારકતામાં સુધારો કરવાનો છે. તે રૂ. 100 કરોડના પ્રારંભિક ભંડોળ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત માટે મહિલાઓના સશક્તિકરણના સરકારના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમમાં હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની અને કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય પ્રધાનો હાજરી આપે તેવી અપેક્ષા છે.