શાકભાજીના ગગડતા ભાવએ ખેડૂતોના ખરાબ દિવસો લાવી દીધા છે. ખાસ કરીને ટામેટાંની ખેતી કરતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ઉત્તર ગુજરાના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્યગુજરાતના મહિસાગરમાં ટામેટાનું વાવેતર થાય છે, જોકે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા, ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક સમયે ટામેટાનો બજાર ભાવ 100 રૂપિયા કરતા વધારે પહોંચી ગયો હતો, ત્યારે મોટી મોટી ચર્ચાઓ ચાલી હતી. આજે બજારમાં ટામેટાનો ભાવ 20 થી 25 રૂપિયે પ્રતિ કિ.લો છે જ્યારે મેઘા સિટી અને મોલ માં ભાવ કેટલો હશે તે કહેવું મુશ્કેલ છે. પણ ખેડૂતો પાસેથી વેપારીઓ માત્ર 2 થી 4 રૂપિયે કિ.લો. ના ભાવે ટામેટા ખરીદી કરી, ઊંચો નફો કરી રહ્યા છે.
શિયાળાની ઋતુમાં શાકભાજીની મબલખ આવક થતી હોય છે. પરંતુ અરવલ્લી જિલ્લાના ખેડૂતોની સ્થિતિ જ કંઈ અલગ છે. અરવલ્લી જિલ્લામાં ટામેટાનું સરેરાશ 1 હજાર હેક્ટકરમાં વાવેતર થાય છે, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 4500 હેક્ટરમાં વાવેતર થાય છે. પરંતુ ખેડૂતોની સ્થિતિ એવી બની છે કે, તેઓ મોંઘો ઘાસચારો પશુઓને ખવડાવવા કરતા, ટામેટા ખવડાવવા યોગ્ય સમજી રહ્યા છે.
એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું વિચારી રહી છે, તો બીજી બાજુ બાગાયતી પાકો લેતા ખેડૂતોની દશા અને દિશા બદલાઈ ગઈ છે, જેને કારણે હવે ખેડૂતો એક આશા રાખી બેઠા છે કે, સરકાર તંત્રને કોઈ આદેશ કરે અને ખેડૂતોને સારા ભાવ મળે. સ્થાનિક તંત્ર પણ આ બાબતે માર્કેટની તપાસ અથવા તો, બજારમાં શાકભાજીની સ્થિતિ કેમ આમ છે, તે જાણવા વિચારવાનો પણ રસ દાખવતી નથી. સ્થાનિક તંત્ર જ કોઈ કામગીરી ન કરે, તો સરકાર સુધી આ વાત કેવી રીતે પહોંચશે, તે સવાલ છે.
