પાકિસ્તાનમાં વંશીય આધારે મોટું વિભાજન જોવા મળી રહ્યું છે. સેનાથી લઈને સરકાર સુધી પંજાબીઓના વર્ચસ્વ સામે હિંસક આંદોલનો થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બલુચિસ્તાનમાં આવી હિંસક ઘટનાઓમાં વધારો થયો છે, જેમાં પંજાબી મૂળના લોકોની વીણી-વીણીને હત્યા કરવામાં આવી હતી. હવે ફરી આવી જ ઘટના બની છે. મંગળવારે મોડી રાત્રે પંજાબ અને બલુચિસ્તાનને જોડતાં સરહદી જિલ્લા બરખાનમાં હુમલો થયો હતો. બલુચ બંદૂકધારી બળવાખોરોએ 7 પંજાબીઓને બસમાંથી ઉતારીને મારી નાખ્યા હતા. બલુચ બળવાખોરોએ આ લોકોના ઓળખપત્રો તપાસ્યા અને જ્યારે તેમની પંજાબી ઓળખ જાહેર થઈ, ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી
આ ઘટના અંગે બલુચિસ્તાન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘લગભગ 40 બંદૂકધારીઓએ ઘણી બસો રોકી હતી. તેમાં સવાર લોકોને બહાર કાઢીને તપાસવામાં આવ્યા. આ દરમિયાન, પંજાબી મૂળના 7 લોકો મળી આવ્યા હતા, જેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બરખન-ડેરા ગાઝી ખાન હાઇવે પર બની હતી.’
બરખનના ડેપ્યુટી કમિશ્નર વકાર ખુર્શીદ આલમે જણાવ્યું હતું કે, ‘આ બધા લોકો પંજાબના રહેવાસી હતા અને લાહોર જવા માટે બસમાં ચઢ્યા હતા. આ દરમિયાન સશસ્ત્ર બળવાખોરોએ બસ રોકીને સાત મુસાફરોને બસમાંથી નીચે ઉતાર્યા હતા. તેમના ઓળખપત્રો તપાસ્યા અને તેમને મારી નાખ્યા. પંજાબી મૂળના લોકોને લાઇનમાં ઊભા રાખીને ગોળી મારી દેવામાં આવી.’
