ટુર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા ત્યાં સુધી અરવલ્લી પોલિસને ગંધ પણ ન આવી…
અરવલ્લી આઈ.બી. ક્યાં સૂઈ ગયું છે, તે સવાલ
છેલ્લા ત્રણ ચાર દિવસથી માર્કેટમાં ચર્ચાઓ ચાલતી હતી, તેમ છતાં પોલિસને ગંભીરતા કેમ ન દાખવી?
પ્રતિ વ્યક્તિ દીઠ 8 હજાર ઉઘરાવી ટુર સંચાલકો ફરાર..!!
25 ફેબ્રુઆરીના રોજ જવાનું હતું પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં
હાલમાં જ રાજકોટમાં સમૂહ યોજાયેલા સમૂહ લગ્ન ચર્ચામાં આવ્યા હતા, જેમાં સંચાલકોએ જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો હતો, જોકે સમૂહ લગ્નના દિવસે જ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી જતાં, નવયુગલોની ચિંતા વધી ગઈ હતી, જોકે પોલિસ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી લગ્ન સમારોહ મહદંશે સફળ થયો હતો. બસ આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે, અહીં સમૂહ લગ્ન નહીં પરંતુ, પ્રયાગરાજ કુંભમેળામાં લઈ જવાના નામે ટ્રાવેલ એજન્સીના સંયાલકો ગાયબ થઈ હતા.
અરવલ્લી જિલ્લામાં થોડા સમય પહેલા પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં લઈ જવા માટે પટેલ ટુર એન્ડ ટ્રાવેલ્સ ની એક જાહેરાત આવી હતી, જેને લઇને જિલ્લાના લોકોએ સંપર્ક કર્યો હતો, જેને પ્રતિ વ્યક્તિ ખર્ચ ટિકિટ પેટે 8 હજાર રૂપિયા હતા. શ્રદ્ધાળુઓએ કુંભમેળામાં જવાાના આશય સાથે ટુર કંપનીનો મો઼ડાસાના માલપુર રોડ પર આવેલી શાખાનો સંપર્ક કર્યો અને ફી પણ ભરી હતી. ભોગ બનનાર લોકોએ એવું જણાવ્યું કે, અંદાજે 80 જેટલા શ્રદ્ધાળુઓએ પૈસા ભર્યા હતા, અને 25 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 10 કલાકે મોડાસાના સહયોગ ચોકડી, માલપુર રોડ પરથી તેમને લઈ જશે.

ટુર સંચાલકોની બાંયધરી ને લઇને શ્રદ્ધાળુઓએ વિશ્વાસ મુકી પૈસા ભરી દીધા, જોકે 25 ફેબ્રુઆરીના રોજ બસ ઉપડવાના ત્રણ દિવસ પહેલાથી જ સંચાલકોના ફોન લાગવાના બંધ થઈ ગયા એટલું જ નહીં ફોન લાગે તો પણ કોઈએ ફોન ન ઉપાડ્યો. 25 ફેબ્રુઆરીની તારીખ નક્કી હતી, જેને લઇને કેટલાક શ્રદ્ધાળુઓએ મોડાસાના સહયોગ ચોકડી પર આવી તો ગયા પણ ટુર સંચાલક કે સંચાલકોની બસ પણ આવી નહીં, જેને લઇને શ્રદ્ધાળુઓનું પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જવાનું સપનું રોળાયું હતું. તેમને લાગ્યું કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી માર્કેટમાં આવી વાતો ચાલતી હતી,, જોકે અરવલ્લી જિલ્લાની ઈન્ટેલિજન્ટ પોલિસને જાણે સાપ સુંઘી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અરવલ્લી પોલિસની આઈ.બી. કે અન્ય એજન્સીને કોઈપણ પ્રકારની વાતનો ખ્યાલ જ ન આવ્યો, જેને લઇને સંચાલકો ભૂગર્ભગમાં ઉતરી ગયા છે.
હાલ તો, શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જવાના સપના સાથે આવી ગયા હતા, જોકે ટુર એજન્સી ના સંચાલકો નહીં આવતા, હવે શ્રદ્ધાળુઓને ન્યાય મળશે કે પછી, મામલો શાંત પડી જશે, તે સવાલ છે. હાલ શ્રદ્ધાળુઓ ટુર સંચાલકની ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે, પણ ઓફિસને ખંભાતી તાળા લાગી ગયા છે.
