અંકિત ચૌહાણ-જય અમીન
રાજ્ય સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઈ ગયું છે, જેમાં મોટાભાગના નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે, જુના મંત્રીઓના પત્તા કપાઈ ગયા છે. અરવલ્લી જિલ્લામાં મંત્રી ભિખુસિંહનું પત્તું કાપીને ભિલોડા આદિજાતી બેઠક પર રસાકસી બાદ વિજેતા થયેલા ધારાસભ્ય પી.સી.બરંડાને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ઘણાં વર્ષોથી અરવલ્લી જિલ્લામાંથી મંત્રી મંડળમાં સ્થાન આપવામાં નહોતું આવ્યું, જોકે 2022 વિધાનસભાની ભારે ઉથલપાથલ બાદ ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાની જીત થતાં હવે આદિવાસી વોટબેંક ટકાવી રાખવા, તેમને મંત્રી મંડળમાં સ્થાન આપી, મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યં છે.
વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. 1 થી 16 રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર પી.સી.બરંડા પાછળ ચાલતા હતા, ત્યારબાદ 17 માં રાઉન્ડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રૂપસિંહ ભાગોરાની લીડ કપાતી ગઈ. આખરે ભિલોડા વિધાનસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર પી.સી.બરંડાને 90,396 મત સાથે 43.62 મત જ્યારે આપ ના ઉમેદવાર રૂપસિંહ ભગોરાને 61626 મત સાથે 29.74 ટકા મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીની મજબૂત પકડ વચ્ચે ભાજપે આદિજાતી વિસ્તાર એવા ભિલોડા થી પી.સી.બરંડાને મંત્રી મંડળમાં સ્થઆન આપી, નવો દાવ પેંચ લગાવ્યો છે, જે આગામી દિવસોમાં આ બેઠક મજબૂત કરવા માટે ભાજપની નવી રણનિતી કહી શકાય.
આ પહેલા ભિલોડા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, જોકે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા 2017 વિધાનસભાની ચૂંટણીમાં આઈ.પી.એસ. પી.સી.બરંડાને મેદાને ઉતાર્યા હતા, જોકે ભાજપ ની હાર થઈ હતી. ફરીથી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં પી.સી.બરંડાને મેદાને ઉતારતા, આ બેઠક પર ભાજપે જીત મેળવી હતી. પણ આમ આદમી પાર્ટીએ મજબૂત અને ભારે ટક્કર આપી હતી. હવે આગામી દિવસોમાં ભાજપ આ વિસ્તારમાં વિકાસના કેવા કાર્યો કરીને, મતદારોને રીઝવે છે, તે સમય બતાવશે.
