અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઉદાસીનતા : PMEGP યોજના હેઠળ લોન લીધા બાદ પાંચ વર્ષ વીતી ગયા છતાં સબસિડી મળી નથી
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) ની ઉદાસીનતા સામે ફરી એક વખત ઉદ્યોગકારમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અરજદારએ 17 જુલાઈ 2020ના રોજ PMEGP યોજના હેઠળ અરજી કરી હતી અને ત્યારબાદ બે લાખ રૂપિયાની લોન મંજૂર થઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આજે લગભગ પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ અરજદારે હકદાર તરીકે મળવાની સબસિડી રકમ પ્રાપ્ત થઈ નથી.
અરજદારના જણાવ્યા મુજબ તેમણે સબસિડી ન મળવા અંગે અનેકવાર અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં રજૂઆત કરી છે, તેમજ ઉચ્ચ અધિકારીઓને પણ મૌખિક રજૂઆત કરી છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ સ્પષ્ટ જવાબ કે નિરાકરણ મળ્યું નથી. વધુમાં ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓને પણ સબસિડીની ફાઇલ ક્યાં સુધી પહોંચી છે તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ પરિસ્થિતિથી સ્થાનિક સ્તરે નાના ઉદ્યોગકારોમાં ભારે નારાજગી ફેલાઈ છે. સરકાર દ્વારા રોજગાર સર્જન અને આત્મનિર્ભર ભારત અંતર્ગત યોજનાઓ અમલમાં મુકાય છે, પરંતુ જો અમલકારી તંત્ર જ ઉદાસીન રહે, તો સામાન્ય ઉદ્યોગકારોને ન્યાય મેળવવો મુશ્કેલ બની જાય છે.
વિશેષ એ છે કે PMEGP યોજના હેઠળ લોન મેળવ્યા બાદ ઉદ્યોગકારોને સબસિડી મળવી એ તેમનો હક છે. જો વિભાગો સમયસર કાર્યવાહી નહીં કરે, તો આવા લાભાર્થીઓને આર્થિક નુકસાન થવા ઉપરાંત યોજના પ્રત્યે વિશ્વાસ પણ ઘટે છે. ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે, સબસિડીના બદલામાં કમિશન નથી મળતું, જેને કારણે અધિકારીઓ ફાઈલ ક્યાં છે, તે શોધવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આ ફરિયાદને કેટલી ગંભીરતાથી લે છે અને લાંબા સમયથી બાકી રહેલી સબસિડી રકમ અરજદારે ક્યારે પ્રાપ્ત થાય છે.
