મોડાસા, તા. 23 ઓગસ્ટ 2026: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામમાં બનેલા ચર્ચાસ્પદ હત્યા કેસમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.આર. ચૌધરીની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી લાલાભાઈ સબુરભાઈ નાયકાને શંકાનો લાભ આપીને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
પ્રોસિક્યુશનના કેસ મુજબ, કોલીખડ ગામમાં પટેલ નિકુંજભાઈના ખેતરમાં થયેલી ઘટનામાં આરોપીએ લાકડી વડે હુમલો કરીને મૃત્યુ નિપજાવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષ તરફથી એડવોકેટ ઘનશ્યામભાઈ મગનભાઈ પટેલ (ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ, અરવલ્લી) દ્વારા સાક્ષીઓની અસરકારક ઉલટ તપાસ તેમજ કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી.
કેસમાં રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ અદાલતે નોંધ્યું હતું કે પ્રોસિક્યુશન આરોપી સામેનો ગુનો શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે. જેના આધારે અદાલતે આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.
આ ચુકાદા સાથે ફોજદારી ન્યાયશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતને ફરી એકવાર સમર્થન મળ્યું છે કે, “જ્યાં સુધી આરોપ શંકાથી પર સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને શંકાનો લાભ મળવો જોઈએ.”

