અમદાવાદ-ઉદયપુર હાઇવે પર સુરક્ષા વ્યવસ્થા બનશે વધુ મજબૂત, અરવલ્લી જિલ્લાના પ્રવેશદ્વાર તરીકે ચોકી બનશે મહત્વપૂર્ણ : SP
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી રાજેન્દ્રનગર પોલીસ ચોકીનો વર્ષો બાદ પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા (એસપી) મનોહરસિંહ જાડેજાના હસ્તે પોલીસ ચોકીનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર આવેલી આ પોલીસ ચોકી ફરી શરૂ થતાં હાઇવે પર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. અરવલ્લી જિલ્લામાં પ્રવેશતા વાહનો અને શંકાસ્પદ હિલચાલ પર અસરકારક નજર રાખવામાં પણ આ ચોકી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાજેન્દ્રનગર પોલીસ ચોકી અગાઉ વિવિધ કારણોસર બંધ થઈ ગઈ હતી, પરંતુ હવે વર્ષો બાદ ફરી કાર્યરત થતાં સ્થાનિક નાગરિકો અને હાઇવે પરથી અવરજવર કરતા વાહનચાલકોને રાહત મળશે. અકસ્માત, ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ ઇમરજન્સી સ્થિતિમાં પોલીસનો ઝડપી પ્રતિસાદ મળી રહેશે.
ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ દ્વારા કાયદો-વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પોલીસ ચોકી મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી






