ભારતીય હવામાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં તા. ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતી અને જનહિતને સર્વોપરી રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર ના આદેશ અનુસાર તા. ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, આઈટીઆઈ, પોલિટેક્નિક સંસ્થાઓ તેમજ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ અને વિદ્યાર્થીઓની અવરજવરમાં મુશ્કેલી સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવશે. તમામ સંબંધિત વિભાગોને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી કામગીરી કરી શકાય.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોને હવામાન વિભાગની આગાહીને ગંભીરતાથી લેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.






