મોડાસા: અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા એકમાર્ગીય ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ માલપુર તાલુકાથી શામળાજી સુધીના માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું છે.
ચોરીવાડ-માલપુર-મોડાસા-શામળાજી આશ્રમ ચાર રસ્તા તરફ જતા માર્ગની ડાબી બાજુના હાઇવે પર તમામ નાના-મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે, જોકે જિલ્લા સેવા સદન સામે કોઈ જ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નથી અને યોગ્ય રીતે બેરીકેટ મૂકવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં વાહન ચાલકો પૂરપાટ ઝડપે જઈ રહ્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદારી કોની તેવા સવાલો રહ્યા છે.
જાહેરનામા મુજબ પ્રતિબંધનો સમયગાળો 17 સપ્ટેમ્બર 2026ના 00:00 કલાકથી 23 સપ્ટેમ્બર 2026ના 12:00 કલાક સુધીનો છે. જોકે, મોડાસા કલેક્ટર કચેરીથી શામળાજી સુધીના માર્ગ પર જાહેરનામાનો વાસ્તવિક અમલ કેટલો અને ક્યારે થશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ માર્ગ પર હજુ પણ વાહનો પૂરપાટ ઝડપે દોડતા જોવા મળી રહ્યા છે, જેના કારણે અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.





