મહેન્દ્ર બગડા
લેખનું ટાઇટલ વાંચી કોઈને પ્રશ્ન થાય કે હાર્દિક ગોટાળો એટલે શું? તો સૌપ્રથમ એ બાબતની સ્પષ્ટતા : સુરતમાં રહેતા તમામ પુરુષો, સૌરાષ્ટ્રથી સુરતમાં સેટલ થયેલા તમામ પુરુષો એકવચન અને ઈંડાં ખાવાના શોખીન લોકોને ખબર હોય છે કે ગોટાળો એ ઈંડાંની એક પ્રસિદ્ધ રેસિપી છે. ગોટાળામાં એના નામ પ્રમાણે બધું જ આવે. આ હાર્દિક ગોટાળા લેખમાં હાર્દિક પર લખાયેલા મોટા ભાગના લેખના કેટલાક અંશો લેખકની અનુમતિ વગર લીધેલા છે. જેમના નંબર છે એમની અનુમતિ લઈ લીધી છે, તો વાંચો હાર્દિક ગોટાળો.
હાર્દિક પટેલ લગભગ બે જૂનના દિવસે ભાજપમાં વિધિવત્ પ્રવેશ કરશે. મનથી તો તેઓ છેલ્લા છ માસથી પ્રવેશ કરી ચૂક્યા છે. કૉન્ગ્રેસમાંથી કૉન્ગ્રેસીઓને ભાંડીને, ભાજપીઓને ખુશ કરીને હવે ભાજપમાં પ્રભુતાનાં પગલાં માંડી રહ્યાં છે. હાર્દિકના ભાજપ પ્રવેશ પર અનેક લોકો વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
સૌથી આકર્ષક અને રોમાંચક ટિપ્પણીઓ અને આર્ટિકલનો આ લેખમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરું છું.
ભાજપમાં હાર્દિક જોડાશે તેના પર રાજકોટસ્થિત પત્રકાર કિન્નર આચાર્યની અદ્ભુત હેડલાઇન આવી છે. ઘીના ઠામમાં ડાલડા. ભાજપ જો ઘી છે તો હાર્દિક ડાલડા છે. એક લાઇનમાં કિન્નરભાઈએ બધુ જ કહી દીધુ.
આ ઉપરાંત વ્યંગલેખક રાજેશ ઠાકરે પણ ખૂબ સરસ લખ્યું છે. લેખની શરૂઆત જ મસ્ત રીતે કરી છે. હાર્દિકની સંભવિત સ્પીચ તરીકે રાજેશભાઈ લખે છે કે હાર્દિક હવે સરદારની વિચારધારાને છોડીને સાવરકરની વિચારધારા તરફ પ્રયાણ કરી રહ્યા છે.જે નરેન્દ્રભાઈ જેવા સજ્જન અને વિકાસપુરુષ નેતાને મે હાર્દીક પટેલે લાખો વખત ફેંકુ-ફેંકુ વગેરે કહ્યા તે નેરન્દ્રભાઈનાં ચરણો અને શરણોમાં જઈ રહ્યો છું. જે અમિતભાઈને મે જનરલ ડાયર કહ્યા તે શબ્દો હવે સાત વર્ષ પછી પાછા ખેંચું છું.
રાજેશ ઠાકરે એક ચોટદાર વાત કહી જે ભાજપના તમામ કાર્યકરો અને નેતાઓને સાથળ પર બરાબર લાગી હશે. મહાશય લખે છે કે જે આનંદીબહેન પટેલ એટલે કે મારાં ફોઈબા ગુજરાતનાં મુખ્ય પ્રધાન તરીકે ઉત્કૃષ્ટ કામ કરી રહ્યાં હતાં તેને મારા કારણે ફેસબુક પર રાજીનામું આપવું પડ્યું, છતાં પણ તેમના સમર્થકો અને માણસો મારું સન્માન કરવા હરખપદૂડા થયા છે તેમનો હું આભાર માનું છું.આ ઉપરાંત આ લેખની અંતિમ લાઇન ખૂબ મજાની છે. એમાં રાજેશભાઈએ લખ્યું છે કે સુબહ કા ભુલા રાષ્ટ્રપ્રેમી શામ કો લૌટ આતા હૈ, તો વો રાજદ્રોહી નહીં કહેલાતા.
આ ઉપરાંત પણ સોશિયલ મીડિયામાં હાર્દિક પર અનેક કૉમેન્ટ આવી રહી છે. સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે ભાજપમાં શિસ્ત એટલી બધી છે કે એક પણ માઈનો લાલ પાટીદાર નેતા એ કહેવાની હિંમત નથી કરતો કે આ માણસના કારણે અમે પાંચ વર્ષ સુધી ખૂબ અપમાન સહન કર્યું. આના સમર્થકોએ અમારી ઑફિસ અને ગાડીઓ પર પથ્થરમારો કર્યો. નીતિન પટેલ જેવા નિવૃત્તિને આરે ઊભેલા નેતાએ વળી ડચકાં ખાતાં-ખાતાં કહ્યું કે કોઈ પાપી પોતાનાં પાપ ધોઈ પ્રાયશ્ચિત્ત કરે તો તેને સ્વીકારવો જોઈએ. નીતિનકાકાએ એ તો ટૂંકમાં કહ્યું મેં તેનો વિસ્તૃત ભાવાનુવાદ કર્યો છે.
અંગ્રેજીમાં એક શબ્દ છે સ્પાઇન, જેને હિન્દીમાં રીઢ કી હડ્ડી અને ગુજરાતીમાં કરોડરજ્જુ કહેવાય છે. હાર્દિકના ભાજપ પ્રવેશ પર એક પણ સ્થાપિત નેતા હરફ ઉચ્ચારવા તૈયાર નથી. તેના પરથી કહી શકાય કે નેતાઓની રીઢ કી હડ્ડી કેટલી મજબૂત છે. આર્મીના જવાનો કરતાં પણ ભાજપના વીર જવાનોની શિસ્ત અદ્દભુત છે.
અંતે, શિસ્તબદ્ધ ભાજપના એ લાખો કાર્યકરોને સલામ કે હાર્દિક દ્વારા અનેક વખત અપમાન કરવામાં આવ્યું છતાં હસતાં મોઢે હાર્દિકનાં ઓવારણાં લેવા થનગની રહ્યા છે. ભાજપના આ કાર્યકરો પાસેથી શીખવા જેવું છે. સ્થિતપ્રજ્ઞ થઈ જવું. હાઈકમાન્ડ જે નિર્ણય લે તે યોગ્ય જ હોય અને સૌને હિતકારી જ હોય, એટલે પોતાની બુદ્ધિ વાપરી રાષ્ટ્રવિકાસમાં રોડા ન નાખવા.
ટ્વિટર પર વડા પ્રધાન મોદી જેમને ફોલો કરે છે તેવા અને પોતાની ટ્વીટ દ્વારા મોદીસાહેબ સુધીના લોકોનું ધ્યાન ખેંચનાર અમરેલીના ભાજપના અગ્રણી નેતા ડૉ. ભરત કાનાબારને પૂછ્યું કે ડૉક્ટરસાહેબ, હાર્દિક ભાજપમાં પ્રવેશે છે, આપની પ્રતિક્રિયા?
તો તેમણે કહ્યું કે, ‘શરમને પણ શરમ આવે તેવી ઘટના.’
જય હો હાર્દિકના ભાજપ પ્રવેશનો, જય હો ભાજપના એ અસંખ્ય કાર્યકરોનો જે હાર્દિકના પ્રવેશ પર અભિનંદ આપવા થનગની રહ્યા છે.