અરવલ્લી જિલ્લાની રચના થયેલા 8 વર્ષ કરતા વધારેનો સમય પૂર્ણ થયા પછી આખરે સિવિલની માંગ સંતોષવામાં આવી હતી ત્યારે લાંબા સમયથી સિવિલના નિર્માણની રાહ જોવામાં આવી રહી હતી, જેનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સિવિલના નિર્માણને લઇને ઈ-ખાતમુહૂર્ત કરાતા જિલ્લા ભાજપના આગેવાનોએ ભવ્ય આતશબાજી કરીને ઉજવણી કરી હતી.
મોડાસા ચાર રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર પટેલ સહિતના આગેવાનો એકત્રિત થયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરાતા કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ દિવાળી પહેલા જ દિવાળીની ઉજવણી કરી હતી. લાંબા સમયથી સિવિલના ખાતમુહૂર્તના જિલ્લાના લોકો રાહ જોઇ રહ્યા હતા ત્યારે આખરે ચૂંટણી આવતા જ સિવિલનું ખાતમુહૂર્ત થતાં જિલ્લાની જનતાને આગામી દિવસોમાં સિવિલ તૈયાર થયા પછી આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળી રહેશે.
મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે જણાવ્યું કે, આવનાર દિવસોમાં સિવિલ જિલ્લાની જનતા માટે લાભદાયી નિવળશે. અરવલ્લી જિલ્લા તેમજ આસપાસના જિલ્લાના લોકોને સિવિલનો લાભ મળશે જેને લઇને જિલ્લાના લોકોમાં ખુશી પ્રસરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે સરકારનો આભાર માન્યો હતો.