33 C
Ahmedabad
Thursday, March 28, 2024

રિફ્લેક્ટેડ ગ્લૉરી – ડિમ્પલ યાદવ, રિવાબા અને બીજા સેલિબ્રિટી ઉમેદવાર


લેખક-મહેન્દ્ર બગડા

Advertisement

ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે. નેતાઓની દોડધામ વધી ગઈ છે. માઇકના ભૂંગળાઓ અને ડીજેનાં કર્કશ ચૂંટણીગીતો લોકોને યથાયોગ્ય ત્રાસ આપી રહ્યાં છે. રાજકીય પક્ષોના ઝંડાઓ હવામાં લહેરાઈ રહ્યા છે. નાના કાર્યકરોથી લઈ મોટા નેતાઓ ચૂંટણીનાં ગણિત, ભાગાકાર અને ગુણાકાર કરવામાં રચ્યાપચ્યા છે. ગુજરાતના વાતાવરણમાં વિધાનસભાની ચૂંટણીની મહેક, ગંધ અને દેકારો મિશ્ર રીતે મહેસૂસ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Advertisement

ભાજપ, કૉન્ગ્રેસ અને નવ્યનવેલી એવી આપ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેમની ટિકિટ કપાઈ છે તેઓ ભયાનક વલોપાત કરી રહ્યા છે. કેટલાક નવશીખિયા કૅન્ડિડેટને સિનિયર નેતાઓએ લૉલીપૉપ આપી હતી તેમને હવે અફસોસ થાય છે કે કોનો ભરોસો કર્યો? ખેર, ટિકિટ જેમના ભાગ્યમાં રાજયોગ હતો તેમને મળી ગઈ છે.
શેરીઓમાં માઇકનાં ભૂંગળાંઓ ગાજી રહ્યાં છે. નેતાઓ સભાઓ કરી રહ્યા છે. ભાજપે આ વખતે જામનગરથી રિવાબા જાડેજાને ટિકિટ આપી છે, જેમની ટિકિટ હતી એ પણ બહુ મોટા માણસ હતા. હકુભા જાડેજા. કૉન્ગ્રેસમાં લીલાલહેર કરતા હતા. મોદીના વેવમાં ઇઝિલી જીતી જતા હતા, કૉન્ગ્રેસ છોડી ભાજપમાં આવ્યા, મંત્રી બન્યા અને અંતે ટિકિટ કપાઈ ગઈ. અબ કા પછતાવે જબ ચીડિયા ચુભ ગઈ ખેત? એવું જ હકુભા સાથે થયું.

Advertisement

રિવાબા જાડેજાને જે દિવસે ટિકિટ મળી એ જ દિવસે યુપી (ઉત્તરપ્રદેશ)માં ડિમ્પલ યાદવે લોકસભા માટે ફૉર્મ ભર્યું. સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર તરીકે બાય ઇલેક્શનમાં ડિમ્પલ યાદવે ફૉર્મ ભર્યું. મને તુરંત વિચાર આવ્યો કે અત્યંત સંપન્ન, સુખી, અબજોપતિ એવા પતિદેવોની પત્નીઓ શા માટે ચૂંટણીના મેદાનમાં ઊતરે છે?

Advertisement

મેં વિચાર્યું કે દરેક ટૉપિક પર આપણે જ માથાફોડી કરવી એ કરતાં આ ક્ષેત્રના ધુરંધરોને પૂછીએ કે કેમ આટલી મોટી સેલિબ્રિટી, પ્રસિદ્ધ પતિદેવોની પત્નીઓ ચૂંટણીજંગમાં કેમ ઊતરતાં હોય છે? આ રહ્યા તેના જવાબો.

Advertisement

આ આર્ટિકલ લખવાનું કારણ એ કે જે રવીન્દ્ર જાડેજાને જોવા માટે લાખો લોકો કલાકો સુધી રસ્તા પર ઊભા રહે છે તેમનાં પત્ની રિવાબા જાડેજા અત્યંત સુખી પરિવારમાંથી આવે છે. હાઈલી એજ્યુકેટેડ અને ક્વૉલિફાઇ મહિલા છે. છતાં કેમ ચૂંટણીજંગમાં ઊતરે છે?

Advertisement

ગુજરાતના પ્રતિષ્ઠિત સિનિયર પત્રકારોનો મત જાણ્યા પહેલાં આપણે જાણીએ કે રિવાબા જાડેજા શું કહે છે, તેમના મતે તેઓ ચૂંટણીમાં એટલે ઉમેદવારી કરી રહ્યાં છે કે તેઓ લોકોની સેવા કરવા માગે છે.

Advertisement

Advertisement

મિકૅનિકલ એન્જિનિયરિંગનો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ તેમને સિવિલ સર્વિસમાં જોડાવાની અદમ્ય ઇચ્છા હતી. જોકે તેઓ સિવિલ સર્વિસમાં તો જોડાઈ ના શક્યાં, પરંતુ હવે પ્રજાનું કામ કરવા ઇચ્છે છે. આ ઉપરાંત તેઓ ભાજપની વિચારધારા અને મોદીના કામથી પણ આકર્ષાયાં છે. રિવાબાએ કહ્યું કે ઈશ્વરે તેમને ખૂબ આપ્યું છે તો હવે પ્રજાની સેવા કરવી અને તેમના જીવનમાં કંઈક સુધારો થાય તેવો પ્રયાસ કરવો.

Advertisement

તો વાંચો મીડિયાના મહારથીઓ અને સાંપ્રત સમયના ટોચના લેખક, પત્રકારો શું માને છે?
વિકાસ ઉપાધ્યાય : વિકાસ ઉપાધ્યાય સૌથી લોકપ્રિય ચૅનલ ટીવી-9ના કર્તાહર્તા સમાહર્તા છે. એડિટર-ઇન-ચીફ છે. વર્ષો સુધી રાજનીતિ પર લખતા આવ્યા છે. તેમના મતે, પૉલિટિક્સ પણ હવે ગ્લૅમર છે, પાવર માટે છે. ફેમ છે, પૈસા છે. કેટલાક લોકોને શોખ છે. સેવા કરવા માટે ચૂંટણી લડવી જરૂરી નથી. પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપટ અદ્ભુત સેવા કરે છે. પરેશ રાવલ કરતાં અદ્ભુત કામ કરે છે. તે છુપાઈને કરે છે, પરંતુ ચૂંટણી લડતી નથી, સામે પરેશ રાવલ ચૂંટણીઓ લડે છે. જો સેવા જ કરવી હોય તો સુધા મૂર્તિની જેમ એનજીઓ ખોલી સેવા થઈ શકે છે.પૉલિટિકલ પાર્ટી ગ્લૅમરને વાપરે છે. અમેરિકામાં અબજોપતિઓ ગુજરાતના અર્ધશિક્ષિત મિનિસ્ટર માટે લાલ જાજમ પાથરે છે, એનો અર્થ એ કે અંતે પાવર સર્વોપરી છે. ફેમ કે પૈસાની સામે પાવર મજબૂત છે.

Advertisement

Advertisement

દિલીપ ગોહિલ – હસમુખ ગાંધીના રસ્તે ચાલનારા પત્રકાર છે. ટીવી ડિબેટમાં તેમના તર્ક સામે કોઈ ટકી શકતું નથી. સાંપ્રત ચૂંટણી પર તેમના વ્યંગ વાચકોમાં ખૂબ લોકપ્રિય છે. ટીવી ચૅનલોના મુખ્ય એડિટરથી લઈ મૅગેઝિન અને છાપામાં કામ કરી ચૂક્યા છે. શું કહે છે દિલીપ ગોહિલ?
પહેલાં સેલિબ્રિટી કલ્ચર માત્ર ક્રિકેટ અને ફિલ્મો પૂરતું મર્યાદિત હતું. હવે રાજનીતિમાં પણ સેલિબ્રિટી કલ્ચર આવ્યું છે. હર્ષ સંઘવી કે સી. આર. પાટીલ રસ્તા પર નીકળે છે તો તેમનો મોભો કોઈ સેલિબ્રિટી જેવો હતો. આર. સી. ફળદુ નીકળતા ત્યારે તે સામાન્ય કાર્યકરની જેમ જ નીકળતા હતા. એટલે રાજનીતિ પણ સેલિબ્રિટી તરફ ધસી રહ્યું છે. ક્રિકેટરની કારકિર્દી પણ એક નિશ્ચિત સમય સુધી જ હોય છે. એટલે રવીન્દ્ર જાડેજા પારોઠનાં પગલાં ભરી સરકારમાં મોટા હોદ્દા પર પહોંચવા માગતા હોય તેમ બને.

Advertisement

શીલા ભટ્ટ – કેટલાંક નામ જોડીમાં જ બોલાય છે. જેમ કે શંકર-જયકિશન, સલીમ-જાવેદ, અડવાણી-બાજપેયી એમ શીલા ભટ્ટ-કાંતિ ભટ્ટ એમ તેમના વાચકો બંને નામ સાથે જ બોલે છે. વર્ષો પહેલાં એક ખૂબસૂરત મહિલા કરીમલાલા કે પછી દાઉદના ગઢમાં ઘૂસી તેનો ઇન્ટરવ્યૂ લઈ પત્રકાર આલમમાં તહેલકો મચાવી દેનાર શીલા ભટ્ટ દેશના જાણીતા અંગ્રેજી કટાર લેખિકા છે. અનેક પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર, રિડીફ, ટીવી ચૅનલોમાં ટોચના પદ પર રહી ચૂક્યાં છે. શું કહે છે, શિલામેમ?

Advertisement

આપણી ભાષામાં રિફ્લેક્ટેડ ગ્લૉરી શબ્દનો પર્યાય મને નથી મળતો. શબ્દ છે, અંગ્રેજીમાં રિફ્લેક્ટેડ ગ્લૉરી. મોટા માણસની ચમકથી તમે રોશનીમાં નાહ્યા કરો. દાખલા તરીકે ઓબામા પ્રેસિડન્ટ છે, તો તેમની પત્ની તેની રોશનીમાં વાયોલેટ ગાઉન પહેરી ચમક્યા કરે. લોકો તેને ચાહે. રાજનીતિમાં જે સેલિબ્રિટીની પત્નીઓ આવે છે તેમાં પણ કંઈક આવું જ હોય છે. સેલિબ્રિટીની પત્ની સહેલાઈથી જીતી જાય છે. માહોલ બનાવે છે. રિવાબા તો અત્યંત પ્રભાવી અને હાઈલી એજ્યુકેટેડ છે, લોકોના પ્રશ્નો પ્રત્યે સજાગ છે. બાકી મોટા ભાગની મહિલાઓ હેમામાલીની સહિતની માત્ર શોભાના ગાંઠિયા જ હોય છે.

Advertisement

પ્રશાંત દયાળ – આક્રમક પત્રકાર, કોઈનીય સાડીબારી નહીં રાખવાની ખુમારી, એટલે પ્રશાંત દયાળ. તેમના મતે :

Advertisement

ક્રિકેટરો અને ફિલ્મ-સ્ટાર પાસે પૈસા અને પ્રસિદ્ધિ તો ખૂબ હોય છે, પરંતુ જેમ જેમ પૈસા આવે અને પ્રસિદ્ધિ આવે ત્યારે સાથેસાથે પાવરની પણ ઇચ્છા જાગ્રત થાય છે. પાવર માટે પૉલિટિક્સમાં આવવું ફરજિયાત છે. સત્તાની ભૂખ કહી શકો, પરંતુ સેલિબ્રિટીને પણ અંતે રાજનીતિમાં આવવું જ પડે છે.

Advertisement

દિલીપ ભટ્ટૃ – પત્રકારત્વમાં ભણવા આવતા હતા. હવે રૂબરૂ મળે પણ છે. અત્યંત મેધાવી પ્રતિભા. મોટા અખબારોના તંત્રીલેખ લખે છે. સાંપ્રત ઘટનાઓ પર તેમના તર્કને ઉચ્ચ રાજકીય નેતાઓથી લઈ સામાન્ય પ્રજા સ્વીકારે છે, તેમના મતે :

Advertisement

રિવાબા જાડેજા ઉચ્ચ રાજઘરાનામાંથી આવે છે. તેમના પૈતૃક પરિવારમાં પ્રજાવત્સલ હોવું સહજ છે. જો રિવાબા ચૂંટાઈ જશે તો તેઓ પ્રજાનાં સાચાં સેવક, પ્રજાની કૅર કરનાર મહિલા સાબિત થશે. દિલીપ ભટ્ટના મતે, રિવાબામાં રાજલક્ષ્મીથી ગૃહલક્ષ્મી સુધીનાં દર્શન પ્રજાને થશે. રિવાબા જાડેજા માત્ર ને માત્ર પ્રજાની ઉન્નતિના ઉચ્ચ વિચાર સાથે રાજનીતિમાં આવ્યાં છે.

Advertisement

દિલીપ પટેલ : ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સહિત અનેક લોકપ્રિય માધ્યમમાં પોતાની પ્રતિભા દર્શાવી વાચકોના પ્રિય એવા દિલીપ પટેલ શુ કહે છે??

Advertisement

સેલિબ્રિટી લોકોમાં પ્રિય હોય છે. મૂળ પાવર હન્ગરી આવું કરતા હોય છે. લોકોની સેવા સાથે કંઈ લેવાદેવા નથી હોતી. જો લોકોની સેવા જ કરવી હોય તો સોશિયલ સેવા કરી શકે છે. એનજીઓ ખોલી શકે છે, પરંતુ મૂળ પાવર. બસ, આગળપાછળ લાલ લાઇટ થવી જોઈએ. બ્યુરોક્રેટ સેલ્યૂટ માર્યા કરે. આ કારણ હોઈ શકે કે સેલિબ્રિટી અને અત્યંત ધનાઢ્ય પરિવારની મહિલાઓનું પણ ચૂંટણીજંગમાં ઊતરવાનું.

Advertisement

હિમાંશુ ભાયાણી – સૌરાષ્ટ્રના ઇલેક્ટ્રૉનિક મીડિયાના શરૂઆતી પત્રકારો પૈકીના એક. અંગ્રેજી ભાષા પર શશી થરુર જેટલી પક્કડ. કોઈ પણ આર્ટિકલ માટે લોહી પાણી એક કરે. અનેક ડેટાઓ ખિસ્સામાં રાખી ફર્યા કરે. ‘આજતક’થી લઈ ‘બ્લુમબર્ગ’ સુધીની સફર ખેડી હાલ મોટરસાઇકલ પર મહાલ્યા કરે છે. તેમના મતે :

Advertisement

Advertisement

રિવાબાના કેસમાં કદાચ પરિમલ નથવાણીનુ ટ્વીટ કામ કરી ગયું હોઈ શકે. બાકી જો માત્ર લોકોની સેવા જ કરવાની હોય તો સુધા મૂર્તિની જેમ એનજીઓ ખોલીને સેવા કરી શકાય, પરંતુ પ્રસિદ્ધિ અને પૈસા પછી પાવરની ભૂખ ઊઘડતી હોય છે. બીજું, રિવાબા એક સંપન્ન પરિવારમાંથી આવે છે. તેમને આઇપીએસ કે આઇએએસ થવું હતું. જે તેમની અધૂરી ઇચ્છા કદાચ તેમના પતિદેવના કારણે પૂર્ણ થઈ રહી છે. કારણ કે ચૂંટાયા પછી આઇપીએસ કે આઇએએસ જેવું કામ રિવાબા કરી શકે તે પણ વિચાર હોઈ શકે.

Advertisement

વાચક રાજા લેખના પ્રતિભાવ માટે આ નંબર પર વૉટ્સઍપ કરી શકે છે – 9909941536
નોંધ – લેખક પ્રસિદ્ધ ટીવી જર્નાલિસ્ટ અને ટીવી-9 પર પ્રદર્શિત લોકપ્રિય કાર્યક્રમ ‘ભાઈ ભાઈ’ના ઍન્કર છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!