રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને ‘અમૃત ઉદ્યાન’ રાખવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન 31 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે ખુલશે. શનિવારે રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય સિંહે કહ્યું કે હવે રાષ્ટ્રપતિ ભવનના તમામ બગીચાઓની સામૂહિક ઓળખ ‘અમૃત ઉદ્યાન’ હશે.
રાષ્ટ્રપતિના પ્રેસ સચિવે મીડિયાને જણાવ્યું કે પહેલા વર્ણનાત્મક ઓળખ હતી, હવે બગીચાઓને નવી ઓળખ આપવામાં આવી છે. અમૃત ઉદ્યાન 31 જાન્યુઆરીથી જનતા માટે ખુલ્લુ મુકાશે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભવન 330 એકરમાં ફેલાયેલું છે. ચાર માળમાં કુલ 340 રૂમ, 2.5 કિલોમીટરના કોરિડોર અને 190 એકર બગીચાઓ છે.
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે રાષ્ટ્રપતિ ભવન-ઉદ્યાન ઉત્સવ 2023ના બગીચાના ઉદ્ઘાટનમાં સામેલ થશે.