ભોળાનાથના મહા પર્વ એવા મહાશિવરાત્રીના પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં શિવરાત્રીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ગીરનારમાં તેની ઉજવણી કંઈક અનોખી હોય છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતના શિવાલયો પણ ભોળાનાથના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ શિવ મંદિરોમાં જોવા મળી હતી.
મોડાસા શહેરના ગેબી મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરેથી ભોળાનાથની શોભાયાત્રા યોજાય છે. મોડાસાના ઉમાપતિ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી.. ભોળાનાથને જળાભિષેક કરવા માટે ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા.. આ સાથે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. મંદિર દર્શન કરવા આવતા ભક્તો માટે દહીં રતાળાના પ્રસાદનું પણ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું, મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાભ લીધો હતો.