અડાલજ ત્રિમંદિર પાસેથી ગાંધીનગર સુધીની મહારેલી યોજાઇ હતી જેમાં જીલ્લાવાર ડીજે અને ટેબ્લો સાથે વાહનોમાં મહારેલી રામકથા મેદાને પંહોચી : ડો.બાબાસાહેબને મહાસલામી બાદ યોજાયેલી મહાસભામાં બૌદ્ધ સાધુઓએ બૌદ્ધ ધર્મની દિક્ષા અપાવી હતી
ગાંધીનગરમાં ડો.બાબાસાહેબ આંબેડકરના ૧૩૨મા જન્મદિવસે ગાંધીનગરના સેક્ટર-૧૧માં રામકથા મેદાન ખાતે સ્વયંમ સૈનિક દળ દ્વારા આયોજિત મહાસભાના કાર્યક્રમમાં આશરે ૧૫ હજાર જેટલાં નાગરિકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભંતેજીઓ(બૌધ સાધુ), સ્વયંમ સૈનિક દળના સૈનિકો અને નાગરિકો સહિતની ખૂબ મોટી જનમેદની ઉમટી પડી હતી. જય ભીમના નારાઓ સાથે જીલ્લાવાર ડીજે અને ટેબ્લો સાથે વાહનોમાં મહારેલી રામકથા મેદાને પંહોચી હતી જ્યાં બપોરે ધર્મ પરિવર્તન કાર્યક્રમ યોજાયો હતો.
અડાલજના ત્રિમંદિર પાસે બટરફ્લાય બ્રિજ ખાતેથી મહારેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયાં હતા અને “જય ભીમ” તથા “બાબાસાહેબ અમર રહો”ના જયઘોષ સાથે રેલીએ એસજી હાઇવેથી ગાંધીનગર તરફ પ્રયાણ કર્યુ હતું. રેલીમાં મોટી સંખ્યામાં બાઇકસવારો, ગાડીઓ, લક્ઝરી બસો સહિત વિવિધ વાહનો જોડાયાં હતા. યુવાનોએ ગળામાં બાબાસાહેબની તસવીરો સાથેના વાદળી રંગના ખેસ પહેર્યા હતા જ્યારે સ્વયંસેવક દળના સૈનિકોએ ઘેરા લીલા રંગના યુનિફોર્મ સાથે અશોકચક્રને ધારણ કર્યા હતા. રેલીમાં મહિલાઓ અને બાળકિ પણ મોટી સંખ્યામાં જોડાયાં હતા. આ મહારેલીએ જય ભીમના નારા સાથે ગાંધીનગરના માર્ગો પર પરિભ્રમણ કર્યુ હતું. જીલ્લાવાર ડીજે અને ટેબ્લો સાથે વાહનોમાં મહારેલી રામકથા મેદાને પંહોચી હતી અને રામકથા મેદાનેથી પગપાળા ચ-૩ થઈ ડો.આંબેડકરની પ્રતિમાએ પંહોચી હતી જ્યાં મહાસલામી આપવામાં આવી હતી. આ પછી બપોરે સેક્ટર-૧૧માં રામકથા મેદાને યોજાયેલી મહાસભામાં અંદાજે ૧૫ હજાર જેટલાં નાગરિકોએ બૌધ ધર્મ અંગિકાર કર્યો હતો. મહાસભામાં ઉપસ્થિત બૌદ્ધ સાધુઓએ આ નાગરિકોને ૨૨ પ્રતિજ્ઞા લેવડાવી બૌદ્ધ ધર્મની દિક્ષા આપી હતી.
