વિશ્વ વિકલાંગ દિવસે અરવલ્લી જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી બિલ્ડિંગ)માં દિવ્યાંગોના શૌચાલયની હાલત તો જુઓ…
લાગ છે, અધિકારીઓએ દફ્તર ચકાસણની સાથે-સાથે શૌચાલય ચકાસણી પણ કરવી જોઈએ…
ઉચ્ચ અધિકારીઓ આ શૌચાલયો જોવા આવતા નથી, ને કોઈને આમાં રસ નથી…!!
કચેરીઓમાં જવા રેમ્પ તો છે પણ વ્હીલ ચેર ક્યાં?
તમામ બિલ્ડિંગમાં વ્હીલચેર હોવી જરૂરી છે, એક કે બે વ્હીલચેર થી શું થાય…?
જિલ્લા સેના સદન, એસ.પી. કચેરી અને જિલ્લા પંચાયત મળી 3 બિલ્ડિંગના મુખ્ય 6 પ્રવેશદ્વાર છે, તો 6 વ્હીલ ચેર હોવી જ જોઈએ
તમે આટલું ય ન કરી શકો તો બિજી આશા, શું રાખવી…?
શૌચાલયની જાળવણી કરવામાં અધિકારીને રસ નથી, હમણાં શૌચાલય બનાવવાના કહો તો દોડતા આવશે…!!!!
અધિકારીઓ જેટલો રસ શૌચાલય બનાવવાના ટેંડરમાં રાખતા હોય, તેટલો જ રસ નવા બનેલા શૌચાલયની જાળવણીમાં પણ રાખવો જોઈએ

3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંક દિવસ, હવે વિકલાંકો માટે દિવ્યાંગ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દિવ્યાંગો માટે સરકારે વિવિધ યોજનાઓ, ખેલકુદમાં આગળ વધી શકે તે માટે પણ વિચાર કર્યો છે અને પેરા ગેમ્સ પણ શરૂ કરેલી છે, જેથી દિવ્યાંગો આગળ વધી શકે. દિવ્યાંગોની હજુ કેટલીય માંગણીઓ છે, જે હજુ સુધી તેના પર વિચાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય કક્ષાનો આ મુદ્દો છે, પણ નાના-નાના એવા કેટલાય મુદ્દાઓ છે, જે સ્થાનિક તંત્ર સરળતાથી નિરાકરણ લાવી શકે એમ છે પણ આવું કરવા માટે કે, તે દિશામાં આગળ વધવા કોઈને રસ નથી. આવું જ કંઈક અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યું છે.

અરવલ્લી જિલ્લાના જે વિશાળ મકાન એટલે કે, જિલ્લા સેવા સદનમાં બિરાજમાન હોય છે તેમાં અરજદારો માટે જમણી અને ડાબી બાજુ મળી 6 જેટલા શૌચાલયો છે, જેની હાલત તો બદતર છે સાથે – સાથે દિવ્યાંગોના શૌચાલય તો જાણે બંધ જ કરી દેવાયા હોય તેવું લાગે છે. ક્યાંગ ગંદકી તો ક્યાં શૌચાલયમાં ખાલી બોક્સ મુકી દેવાયા છે, એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો બિનઉપયોગી થોથા જોવા મળ્યા હતા. આવી સ્થિતિ અરવલ્લી જિલ્લા સેવા સદનના વિકલાંગ શૌચાલયોની છે.

અરવલ્લી જિલ્લા સેવા સદનના મામલતદાર કચેરીની વાત કરીએ તો અહીં દિવ્યાંગ શૌચાલય માત્ર શૌભાના ગાંઠિયા સમાન છે, ચાલો માની લઈએ કે, સામાન્ય શૌચાલય તો દિવસ દરમિયાન કેટલાય લોકો તેનો ઉપયોગ કરતા હશે, પણ દિવ્યાંગો તો માત્ર ગણેલા જ આવતા હશે તો આ શૌચાલયોની હાલત કેમ ખરાબ છે? તેની ઉપર ચૂંટણી વિભાગની ઓફિસ છે જેની બાજુમાં પણ વિકલાંક શૌચાલય બિનઉપયોગી છે. સામેની બાજુમાં પ્રાંત અધિકારી એટલે કે, નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની બાજુમાં પણ વિકલાંક શૌચાલય છે, અહીં પણ કહેવા જેવું નથી. દિવ્યાંગો જાય તો જાય ક્યાં..?

ઉચ્ચ અધિકારીઓ સમયાંતરે દફ્તર ચકાસણી માટે જતાં હોય છે, હવે તો લાગે છે કે, શૌચાલય ચકાસણી પણ કરવી જોઈએ, તો જ શૌચાલયોની હાલત સુધરી શકશે. ઉચ્ચ અધિકારીઓના શૌચાલય તો તેમની ચેમ્બરમાં જ હોય છે, આવા અધિકારીઓના શૌચાલય પણ સામાન્ય શૌચાલય એટલે કે, જે શૌચાલય અરજદારો કરે છે, તેનો જ ઉપયોગ કરે તો ખ્યાલ આવે કે, અરજદારોને શૌચાલયમાં જતાં પણ નાક બંધ કરવા પડે છે, અને આતો દિવ્યાંગો છે, કેટલાક તો ચાલી જ નથી શકતા આવા લોકો કેવી રીતે જઈ શકે જરા વિચાર્યું છે ?
