અંકિત ચૌહાણ/જય અમીન
ગાંધીનગર રેંજ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ હાલ અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે, વાર્ષિક ઈન્સ્પેક્શન અંતર્ગત, તેઓ જિલ્લાના વિવિધ પોલિસ મથકે પહોંચ્યા હતા. આ ઈન્સ્પેક્શન અંતર્ગત, બાયડ, શામળાજી તેમજ ટિંટોઈ પોલિસ સ્ટેશનનો સમાવેશ કરાયો હતો. મંગળવાર 17 ડિસેમ્બરના રોજ અરવલ્લી જિલ્લા પોલિસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત કરાયેલા વાર્ષિક ઈન્સ્પેક્શન અંતર્ગત, લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. રેન્જ આઈ.જી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં આ લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિસ્તારની સમસ્યાઓ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા તેમજ નવીન પોલીસે સ્ટેશન બનાવવા સહિતની અલગ અલગ રજૂઆતો લઈને સ્થાનિક આગેવાનો આવી પહોંચ્યા હતા. લોકોની અલગ અલગ સમસ્યાઓને રેન્જ આઇજીએ સાંભળી હતી અને સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રશ્નોની ચર્ચા થઈ
પોલિસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા લોક દરબારમા મોડાસા માં સતત ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો આ વર્ષે પણ ચર્ચાયો હતો. મોડાસા ચાર રસ્તા અને પેલેટ ચોકડી પર સતત ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે, જેને લઇને લોકો કંટાળી જતાં, રેંજ.આઈ.જી. ને રજૂઆત કરી હતી. આ સાથે જ મોડાસા લીયો પોલિસ ચોકી કાયમી ધોરણે કાર્યરત કરવા માટે પણ લોકોએ રજૂઆત કરી હતી.
મેઘરજ માં સતત કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, છાશવાર કેટલાક શખ્સો અને કહેવાતા, હીરો થી કાયદો વ્યવસ્થા કથળતી હોવાની રજૂઆત કરાઈ હતી, જે બાબતે રેંજ આઈ.જી.એ ગંભીરતા દાખવી અને મેઘરજ પોલિસ અધિકારીને કડક સૂચના આપી, આવા તત્વોની હીરોગિરી નાબૂદ કરવા ટકોર કરી હતી. આ સાથે જ મહિનામાં એકવાર પોલિસ સ્ટેશને આવા લોકોને હાજર કરી, સતત ધ્યાન રાખવા માટે સૂચના આપી હતી.
અરવલ્લી જિલ્લાના ટીઆરબી જવાનોનો પગાર સમયસર નહીં થતાં, મીડિયાના જવાબમાં રેંજ.આઈ.જી. એ જણાવ્યું કે, આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીશું અને ટીઆરબી જવાનોનો પગાર સમયસર થાય તે માટે ગંભીરતા દાખવવાનું ઉમેર્યું હતું.