સમગ્ર રાજ્યમાં નકલીની બોલબાલ જોવા મળી રહી છે, છેલ્લા ઘણાં સમયથી નકલી પોલિસ અધિકારીઓ, કર્મચારીઓ અને કચેરીઓ મળી આવતી હોય છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં પણ સતત નકલીની બોલબાલ વધી છે, જોકે પોલિસની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે. થોડા દિવસ પહેલા રેંજ આઈજીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો, જેમાં નકલી પોલિસ આવીને તોડ કરી ગઈ હોવાની રજૂઆત કરતા, ખળભળાટ મચી જવા પામ્યો હતો, જેને લઇને બદલીને ગંજીપો ચિપાયો હતો, જોકે હવે મોડાસા તાલુકાના ટિંટોઈ પોલિસ મથકે ફરિયાદીએ નકલી પોલિસ આવીને દમદાટી કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરતા, પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
આવી નકલી પોલિસ આવીને ચાલી જાય નવાઈની વાત છે, સાહેબ
ફરિયાદીએ અરજી આપી હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં કે શું?
કંઈક રંધાઈ ગયું હોવાની ચર્ચાઓ ચાલતા ટિંટોઈ પોલિસની કામગીરી પર સવાલો
થોડા દિવસ પહેલા રેંજ આઈ.જી.ની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં નકલી પોલિસનો મુદ્દો ઉઠ્યો હતો
સાચી પોલિસે તપાસ કરી કે નકલી તેના પર સવાલ?
મોડાસા તાલુકાના ટિંટોઈ પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં એક હોટલ & ગેસ્ટહાઉસના સંચાલકની પત્નિની સાથે બિભત્સ વર્તન કરી કર્મચારીઓને માર માર્યો હોવાના આક્ષેપ પોલિસને આપેલી ફરિયાદમાં કરાયો છે, જે અરજી હાલ વાયરલ થઈ છે. જીવણપુર પંથકની એક હોટેલમાં બનેલી સમગ્ર ઘટનાનો ઉલ્લેખ લેખિત અરજીમાં કરવામાં આવ્યો છે. લેખિત ફરિયાદ મુજબ 23 ડિસેમ્બરની રાત્રીના 11:30 વાગ્યાના અરસામાં કાર લઈને આવેલા બે અજાણ્યા માણસોએ, હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં હોટલ સ્ટાફને ટીંટોઈ પોલીસ સ્ટેશનમાંથી આવીએ છીએ તેવું જણાવી, હોટલ તેમજ ગેસ્ટ હાઉસનુ લાયસન્સ અને આધાર કાર્ડ બતાવવાનું કહેવામાં આવ્યું હતું, જેથી સ્ટાફના માણસોએ હોટલ લાયસન્ય તેમજ તમામનું આધારકાર્ડ બતાવ્યા બાદ, આ બન્ને અજાણ્યા માણસો એ સ્ટાફ પાસે પૈસાની માંગણી કરી હતી. પૈસા ન આપતા એક શખ્સે ગાડી માંથી પ્લાસ્ટીકનો પોલીસ દંડો લાવી સ્ટાફના માણસોને માર મારી, હોટલ સંચાલકની પત્ની સાથે પણ બીભત્સ વર્તન કરી કરી ફરાર થઇ ગયા હોવાનો સનસનાટીભર્યો આક્ષેપો કર્યો છે. ભોગ બનનારે ટીંટોઇ પોલીસ અધિકારીને સંબોધીને લખેલી વાયરલ અરજી સામે આવી છે. 31 ડિસેમ્બર ને લઈ અરવલ્લી પોલીસની સતર્કતા વચ્ચે કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ સામે સવાલો ઉઠ્યા છે.
વાયરલ થયેલી અરજી અને તેમાં કરેલા ગંભીર આક્ષેપોને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું હોટેલ અને ગેસ્ટ હાઉસમાં સાચી પોલિસ ગઈ હતી કે શું ? જો સાચી પોલિસ ગઈ હોય તો આ પ્રકારનું વર્તન કેમ કર્યું હશે? અને જો નકલી પોલિસ ગઈ હોય તો ક્યાંથી આવી ? શું નકલી પોલિસ અથવા તો અજાણ્યા સ્વાંગમાં આવેલા લોકો આવું વર્તન કેમ કર્યું હશે? પોલિસમાં અરજી કરવા છતાં નકલી પોલિસ સામે કાર્યવાહી કરી હશે કે કેમ? ટિંટોઈ પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં બનેલી આવી ઘટનાને લઇને કંઈ રંધાઈ ગયું હોવાની પણ બૂ આવી રહી છે. ફરિયાદીએ નકલી પોલિસ અંગે સાચી પોલિસને ફરિયાદ આપી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં, સમાધાન તો નહીં થયું હોય ને? આ એક ઘૂંટાતું રહસ્ય છે.