31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

રાજકારણમાં ક્યારેક મુત્રકાંડ તો ક્યારેક પત્રકાંડ અને અજબ ગજબ અમરેલી



લેખક-મહેન્દ્ર બગડા

બિહારના એક જીલ્લામાં થોડા દિવસ પહેલા રાજકારણીઓએ એક બીજા પર મુત્ર ફેંકી એક મુત્રકાંડ કર્યો હતો જેણે સમગ્ર બિહારમાં ચકચાર મચાવી હતી. આપણે ગુજરાતીઓ અને ખાસ કરીને અમરેલીવાસીઓ એટલા સુસંસ્કૃત છીએ કે મુત્રકાંડ નથી કરતા પણ પત્રકાંડ કરીએ છીએ. પત્રકાંડ પુરાણ પર વાત કરતા પહેલા ટાઈટલમાં મુત્રકાંડ કેમ એની આ થોડી ચોખવટ.

ખેર, બિહાર બિહાર છે અને અમરેલી અમરેલી છે. અમરેલી અજબ છે, ગજબ છે અને ક્યારેક ક્યારેક સીમાઓ છોડી પત્રકાંડ પણ કરી નાખે છે.અમરેલીના પત્રકાંડની વિગત લખવાની જરુર નથી કારણ કે મિડિયા અને સોશિયલ મિડિયામાં પત્રકાંડનુ અથથી ઈતી છપાઈ ચુક્યુ છે. પરંતુ સાવ નવા વાચક જેમને અમરેલીનો ઓછો પરિચય છે તેમના માટે, થોડી માહિતી. અમરેલીમાં હાલ સાંસદ ભરત સુતરિયા છે, ધારાસભ્ય કૌષિક વેકરિયા, મહેશ કસવાલા, જે.વી.કાકડિયા અને જનક તળાવિયા છે. આ તમામ પાટિદાર એટલે કે પટેલ સમાજમાંથી આવે છે અને તેમનો હાલ તંત્ર અને પ્રશાસન અને ભાજપ સંગઠન પર વર્ચસ્વ છે. હિરાભાઈ સોલંકી કોસ્ટલબેલ્ટના ધારાસભ્ય છે અને તેમનુ પોતાનુ અલગ જ સામ્રાજ્ય છે.

વાત મુળ મુદ્દાની. આ જીલ્લામાં ભાજપના પાયાના અને ટોચના બે નેતાઓ દિલીપ સંધાણી અને પરશોત્તમ રુપાલા. એમનો દબદબો દિલ્હી દરબાર સુધી હતો. સમય સાથે થોડુ પરિવર્તન આવ્યુ અને સૌ પ્રથમ આમને ચેલેન્જ 2009થી 2024 સુધી સાંસદ રહેલા નારણ કાછડિયા અને ડો. ભરત કાનાબારે કરી હતી.
જો કે 2019 પછી કાછડિયા-ડો.કાનાબાર  અને સંધાણી વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ જે ગઈ કાલ સુધી ચાલુ જ હતી. ડો. કાનાબાર તો અજાતશત્રુ છે, સૌના મીત્ર અને માર્ગદર્શક. તે સમયે કૌષિક વેકરિયા દિલીપભાઈ સંધાણી સાથે હતા. એટલે અત્યારે નથી એમ નહી પરંતુ સંપુર્ણ રીતે દિલીપભાઈ સંઘાણીના માર્દર્શન નીચે કામ કરતા હતા.
વિધાનસભાની ચૂંટણી આવી અને અમરેલી, સાવરકુંડલા, ધારી, લાઠીમાં ભાજપના યુવા પાટિદાર ધારાસભ્યો ચૂંટાયા અને તેમની એક ધરી રચાઈ જેમણે કંઈક અંશે સિનિયર નેતાઓને સાઈડલાઈન કર્યા અને ચાલુ થયો સંધર્ષ.

કેટલાક યુવા કાર્યકરોએ કૌષિક વેકરિયા વિરુધ્ધ અઁગત આક્ષેપો કર્યા અને એક પત્ર સોશિયલ મિડિયામાં વાઈરલ કર્યો. જેમના નામે આ પત્ર વાઈરલ થયો તેમણે કહ્યુ કે આ બનાવટી પત્ર છે જ્યારે મોટા ભાગના લોકો એવુ માને છે કે પત્ર ઓરીજનલ છે અને પાછળથી આ મીસ્ટર ત્રાપસિયા ફરી ગયા, ખેર એ પોલિસ તપાસનો વિષય છે પરંતુ પત્ર વાઈરલ બાદ જે રીતે ચાર આરોપીઓની ધરપકડ થઈ અને તેમાં એક પાટીદાર સાધારણ ઘરની યુવતીનો કથિત વરઘોડો કે સરઘસ કાઢ્યુ તેનાથી સમગ્ર ગુજરાતના પાટીદારો સમસમી ગયા તે હકિકત છે.

પાયલ ગોટી સાવ સાધારણ ઘરની કૃષિકારની દિકરી છે. જેમ ગુજરાત અને દેશની લાખો યુવતીઓ પિતાજીને આર્થીક મદદ કરવા માટે નાની મોટી નોકરી કરે છે તેમ તેમણે પણ નોકરી કરી. જ્યા તેમના બોસે તેમને એક લેટર ટાઈપ કરવા માટે કહ્યું, ટાઈપીસ્ટ રોજના સેંકડો લેટર ટાઈપ કરતી હોય છે તેને ખ્યાલ નથી હોતો કે ક્યો લેટર સેંસેટીવ કે ક્યો લેટર નોર્બલ છે.

વાઈરલ લેટરની તપાસ કરતી પોલિસે એટલી બધી ચતુરાઈ, સ્પીડ બતાવી કે સ્કોટલેન્ડ પોલિસ પણ અંચબીત થઈ જાય. શાબાશ પોલિસ, તમારી કામગીરી માટે ધન્યવાદ જ આપવા પડે કે કારણ કે પોલિસનુ કામ છે ગુન્હાઓનો ભેદ ઉકેલવો. ભેદ ઉકેલી લીધો પરંતુ ક્યાયં મુળભુત વાતો એટલે કે કાયાદાનુ ઉલંઘ્ઘન થઈ ગયુ. કેટલાકના મતે કૌષિક આદી મંડળીને સારુ લગાડવા માટે પોલિસે પાયલ ગોટી અને તેમના સાગરિતોનુ સરઘસ કાઢ્યુ તો પોલિસનુ કહેવુ છે કે આ સરઘસ નથી પરંતુ ગુન્હાનુ રીકન્સટ્રકશન હતુ. હવે ગુન્હાનુ રિકન્સ્ટ્રક્શન મોટે ભાગે લુંટ વગેરે ગુન્હાઓમાં થતુ હોય છે જેથી કેસ મજબુત થાય. એક ઓફિસમાં બેસી પાયલે ટાઈપ કર્યુ એમાં પાયલ ક્યારે રસ્તે ચાલીને ઓફિસે આવી હતી, ક્યાં એમણે પાણીપુરી ખાધી હતી તે બધી બાબતોની તપાસ ન થાય તો ચાલે, પરંતુ આ પોલિસ છે. ઈચ્છે તે કરી શકે.

ખેર , સમગ્ર ગુજરાત અને ખાસ કરીને પાટીદાર સમાજમાં આ ઘટનાના એટલા મોટા પડઘા પડ્યા કે સમગ્ર સરકારને શરમજનક સ્થીતીમાં મુકાઈ જવુ પડ્યુ. પોલિસે થુંકેલુ ચાટવુ પડ્યુ, જે યુવતી સામે ગુન્હાની કલમ લગાવી હતી તેને બદલે રિમાન્ડ નહી માંગી જામીન મળે તવે કલમ લગાવવી પડી. સૌથી કફોડી સ્થીતી તો ભાજપના પાટીદાર કાર્યકરોની થઈ. બક્ષીસર કહેતા હતા તેમ જેમ સગ્ગો મામો રેપ કેસમાં ફસાઈ જાય અને ભાણિયાઓની જે સ્થીતી થાય તે ભાજપના પાટીદાર કાર્યકરોની થઈ. જો પાયલ ગોટીની તરફેણ કરે તો કૌષિક વેકરિયા, મહેશ કસવાલા, ભરત સુતરિયા, જે.વી.કાકડિયા અને જનક તળાવિયાની નજરે ચડી જવાય.( નામ તેમની પ્રશાસન અને ભાજપ પરની પક્કડના ક્રમ પ્રમાણે લખ્યા છે…)

જો પાયલની ફેવર ન કરીએ તો સમગ્ર પાટિદાર સમાજની આંખે ચડી જવાય. જેમ પાટીદાર આંદોલન સમયે હાર્દીકનુ સમર્થન નહી કરનાર માટે પાટીદારોને નફરત હતી તેવી જ સ્થીતી હવે આ પાટીદાર કાર્યકરોની છે. એટલે નાના કાર્યકરો, મોટા નેતાઓ સમજી નથી શકતા કે કૌષિકભાઈની તરફેણ કરવી કે પાયલ ગોટીની.
મોટા નેતાઓમાં દિલીપ સંધાણીએ ફરી સાબિત કરી આપ્યુ કે તે કોઈથી ડરતા નથી. પાયલને કાયમી નોકરી આપવાનુ વચન આપી પાટીદારોના હિરો બની ગયા છે.
મનસુખ માંડવિયા, પરશોત્તમ રુપાલા, જયેશ રાદડિયા વગેરે નેતાઓને પત્રકારો પુછે છે કે પત્રકાંડ પર કોઈ પ્રતિક્રિયા તો તેઓ ટીવી કેમેરાથી દુર ભાગી જાય છે. જો જયેશ રાદડિયાના પિતાજી વિઠ્ઠલભાઈ રાદડિયા જીવતા હોત તો તેમની શું પ્રતિક્રિયા હોત તે સમગ્ર પાટીદર કોમ સમજે છે પઁરતુ અફસોસ કે તેઓ નથી. જે પાટિદાર નેતાઓ છે તે સમજી નથી શકતા કે શું કરવુ.

બીજુ કે, કૌશિક વેકરિયા ઠરેલ, બુધ્ધીશાળી અને સમજદાર યુવા નેતા છે. અમદાવાદમાં બેસતા મોટા ભાગના રાજકિય પત્રકારો, બ્યુરોક્રેટ વગેરે તેમને ગુજરાતના ભાવી મુખ્યપ્રધાન તરીકે જોતા હતા તેમણએ કેમ ભુલ કરી તે રુબરુ મળીને પુછીશું, એવુ બને કે તેમને પણ ખ્યાલ ન હોય કે આ ઘટના આટલુ વિકરાળ સ્વરુપ લેશે અથવા તો પાયલ ગોટીની મધરાતની ધરપકડ બાબતે અજાણ હોય. અને છેલ્લે અમરેલીના એસપી તરીકે આવેલા નવનિયુક્ત સંજય ખરાત માટે મોડાસાથી પત્રકાર જય અમિન અને રાજકિય અગ્રણી જયદથ્રસિંહજીએ કહ્યું હતુ કે ખુબ લર્નેટ, સોફ્ટ સ્પોકન અને નિયમો અને કાયદાને માનનાર અને મનમાની નહી કરનાર સારા અધિકારી છે. પરંતુ તેમને તો આવતાની સાથે જ વિવાદમાં ઢસડાવવુ પડ્યુ. ખેર, નસિબની બલીહારી. આઈપીએસ અને આઈએએસ ઓફિસરનો તો કોઈ પણ પરિસ્થીતીને ટેકલ કરવાની ટ્રેનીંગ અને આવડત હોય જ છે એટલે તે કરી લેશે.

અસ્તુ..જય હો પત્રકાંડનો, જય હો નાના કાર્યકરોનો અને જય હો સોશિયલ મિડિયાનો….
લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને ટીવી શો ભાઈ ભાઈ અને બોલ બચ્ચનના એન્કર છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!