અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગે છે. શામળાજી ખાતે નેશનલ હાઈવે નંબર 8 પર હીટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા હતા. શામળાજીના અણસોલ નજીક અકસ્માતની ઘટના ઘટતા લોકોએ ચક્કાજામ કરતા એલ.સી.બી તેમજ સ્થાનિક પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી.
શામળાજી નજીક અણોસલ ખાતે દિલીપભાઈ જીવાભાઈ બરંડા, હિનાબેન દિલીપભાઈ બરંડા અને મનોજભાઈ વકસીભાઈ પારઘી આ ત્રણ લોકો રસ્તો પસાર કરી રહ્યા હતા, આ સમય દરમિયાન શામળાજી થી રતમપુર તરફ જતાં ડંપર ચાલકે અણસોલ નજીક ત્રણેણ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનામાં ત્રણેય લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ઘટના બાદ ડંપર ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. ઘટનાને પગલે વાહનોની લાંબી કતારો લાગતા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ શામળાજી પોલિસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતની ઘટનાને પગલે શામળાજી પોલિસ મથકે ફરાર થઈ ગયેલા ડંપર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
