અરવલ્લીના મોડાસામાં નવીન આઈકોનિક બસ સ્ટેશનની ગટર ઊભરાતા, રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળ્યા… થોડા સમય પહેલા મુખ્યમંત્રીના હસ્તે નવીન બસ સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સતત વિવાદોમાં રહેલ નવીન બસ સ્ટેશન ફરીથી વિવાદમાં સપડાયું છે… હાલમાં બસ સ્ટેશનમાં વરસાદી પાણી ટપકતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો, જ્યાંથી પસાર થતાં મુસાફરોએ વરસાદી પાણીમાં છબછબિયા કર્યા હતા… હવે, બસ સ્ટેશનનું ગંદુ પાણી અજન્ટા તેમજ ગોકુલેશ કોમ્પ્લેક્ષ સહિતના વિસ્તારોમાં ફરી વળ્યું હતા… જેને લઇને આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી હતી… સ્થાનિક દુકાનદારોએ રોષ ઠાલવતા જણાવ્યું કે, આ અંગે રજૂઆત કરવા છતાં, કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી… દુકાનદારોએ મન મક્કમ રાખીને, પાલિકાને આડેહાથ લીધી હતી.
દુકાનદારોનું એમ પણ કહેવું છે કે, છેલ્લા ત્રણ દિવસથી આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીંથી મોટી સંખ્યામાં દર્દીઓ, રાહદારીઓ પસાર થાય છે, જેમને પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે પાલિકામાં પહેલા રજૂઆત કરવામા આવી હતી, છતાં કોઈ જ નક્કર પગલા લેવાયા નથી. હવે સ્થિતિ એટલી હદે વણસી છે કે, ‘ગટર ઊભરાય છે, લોકરોષ ઊછળે છે, પણ જવાબદાર તંત્ર કાનમાં તેલ નાખી બેઠું હોય તેવું લાગે છે!’. ઉદ્ઘાટનના ફિતાથી શરૂ થયેલી વિજયગાથા, હવે ગટરના ગંધમાં ઘૂંટાઈ ગઈ છે – દુકાનદારો પીડાય છે અને તંત્ર ફક્ત કોન્સ્ટ્રાક્ટર સામે, હાથ ઉંચા કરી મૌન વિહાર કરતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.’
