ભિલોડા મામલતદાર કચેરીમાં લાગેલ ફાયર બોટલ એક્સપાયર
ફાયર બોટલ એક્સપાયર થઈ ગઈ, તો જવાબદારી કોની?
નિભાવ માટે કોણ અને કયો વિભાગ કરે છે ?
શું કોઈ અધિકારી કે વિભાગની જવાબદારી નથી કે શું?
ખાનગી ગોડાઉન, દુકાન કે કોઈ એકમમાં આવું જોવાય તો બુલેટ ટ્રેનની જેમ પહોંચી નિયમો બતાવતા અધિકારીઓ ક્યાં?
કોઈ જવાબદાર અને કોની બેદરકારી તે સવાલ
શું કોઈ અધિકારી કે કર્મચારી સામે કાર્યવાહી થશે કે પછી
જેટલી ગંભીરતા નોંધ પાકી કરવામાં રખાય છે, તેટલી ગંભીરતા આમાં કેમ નહીં?
રાજ્યમાં આગની ઘટનાઓ ઘટે ત્યારે તંત્ર હંમેશાની જેમ ઘોર નિંદ્રામાંથી જાગી જતું હોય છે. કોઈપણ નિયમો સરકાર ઘડે ત્યારે અધિકારીઓ દોડાદોડ કરીને વેપારીઓ, સામાન્ય લોકોને નિયમો પાડવા માટે દબાણ કરે, અપીલ કરે અને લાગૂ કરવા માટે ધમપછાડા કરતા હોય છે. પણ જ્યારે અધિકારીઓ જ જ્યારે નિયમો ના પાડે તો કોને કહેવું ? આવું હંમેશા જોવા મળે જ છે. આવું જ અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યું છે. ભિલોડા મામલતદાર કચેરીમાં ફાયર બોટલ ક્યારનીય એક્સપાયર થઈ ગઈ છે, પણ બાબુઓને ખ્યાલ નથી આવતો કે પછી નજર અંદાજ કરે છે, તે સવાલ છે.

ભિલોડા મામલતદાર કચેરીના પ્રવેશ દ્વાર પર ફાયર સેફ્ટી માટે એક બોટલ લગાવેલી છે. આખા જિલ્લામાં ફાયર સિસ્ટમ લાગેલી છે, જોકે ભિલોડા મામલતદાર કચેરીમાં એક બોટલ લાગી છે અને તે પણ એક્સપાયર થઈ ગઈ છે, પણ અધિકારીઓને કોણ કહે ? અહીં ફાયરની બોટલ લાગેલી છે, તે 6 કિ.લો. ની છે અને તેના પર ડ્યુ ડેટ 8-04-2025 છે એટલું જ નહીં અહીં પ્રેશર પણ ડાઉન થઈ ગયું છે. નિયમ એવો છે કે, તારીખ પુરી થઈ હોય કે ન થઈ હોય, જો પ્રેશર ડાઉન થઈ જાય, તો બોટલ બિનઉપયોગી બની જાય છે, ટૂંકમાં આગ લાગે તો બોટલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની જતી હોય છે.
