અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ સેવા માટે નિમણૂક થયેલ છે, પણ કેટલાક ભ્રષ્ટ બાબુઓને દિવાળી સમયે અરજદારો અને દલાલો નહીં આવતા, ગમતું નથી. અરવલ્લી જિલ્લાની કેટલીક મલાઈદાર ઓફિસમાં અરજદારોની પાંખી હાજરીથી જરાય ગમતું નથી. કેટલાક અધિકારીઓ તો કહેવા લાગ્યા છે કે, સાલું ગરાકી જ નથી. અરે ભાઈ તમને સરકારે દુકાન ખોલી આપી છે કે, નોકરો આપ્યો છે ?
અરજદારોને સારી સુવિધા, સેવા અને તકલીફ ન પડે, તે માટે સરકારી બાબુઓને જે-તે જગ્યાએ નિમણૂ કરી છે. પણ અધિકારીઓ દલાલોની સાથે ભાઈબંધી કરીને એવા તે ટેવાઈ ગયા છે કે, હવે દિવાળી સમયે અરજદારોની પાંખી હાજરીથી કંટાળી ગયા છે. મળતિયા દલાલોને વારંવાર પૂછપરછ કરતા હોય છે કે, શું છે ભાઈ ? કેમ કોઈ નથી ? એટલું જ નહીં, કોઈ મિત્ર ભાવે પૂછે કે, દિવાળી કેવી છે ? તો સહજ ભાવે કહે છે કે, સાલું ગરાકી જ નથી. આવા જવાબોથી એક વાત ચોક્કસ છે કે, હવે તો સરકારી બાબુઓને વેપાર કરવામાં જ રસ છે, કામ કરવામાં નહીં.
આગામી એક સપ્તાહની રજાઓ સરકારે જાહેર કરી છે, જોકે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ બપોર પછી આવતા જ નથી. શુક્રવાર અને શનિવાર બે દિવસ કચેરીઓ ચાલુ છે પણ અધિકારીઓ અને કર્મચારીઓ પણ અરજદારોની નહિંવત અવર-જવરથી ફાવી ગયા છે અને બપોર પછી ગુલ્લી મારવાની ફિરાકમાં આવી જાય છે. વેપાર કરતા અધિકારીઓ અને કર્મચારીઓને દિવાળી તો કરવી છે પણ પગારથી નહીં !!!!!
