અરવલ્લી જિલ્લામાં SIR ની કામગીરી શરૂ કરવામાં આવી, મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા હોવાનું જણાવતા ચૂંટણી અધિકારી
કોઈના નામ કમી નહીં થાય, ગેરમાન્યતાઓથી દૂર રહેવા પણ અપીલ કરતા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારિક
BLO દ્વારા હાઉસ ટૂ હાઉસ ફોર્મ આપવાની કામગીરી હાથ ધરાશે
1047 બીએલઓ અને 123 ડી.એલ.ઓ. સુપરવાઈઝર મારફતે આ કામગીરી શરૂ
અંકિત ચૌહાણ/જય અમીન
રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં SIR સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રીવિઝન શરૂ કરવામાં આવ્યું છે. આ એક મતદાન શુદ્ધિકરણની કામગીરી છે. 12 રાજ્યોમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાત નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી વિભાગે જણાવ્યું કે, કોઈપણ મતદારે કોઈપણ પ્રકારના દસ્તાવેજ આપવાના નથી. ચૂંટણી વિભાગ દ્વારા નિયુક્ત કરાયેલા બી.એલ.ઓ. જે ફોર્મ આપે, તેમાં મતદાતાએ માંગ્યા મુજબ વિગતો ભરીને ફોર્મ ચૂંટણી વિભાગને પરત સોંપવાનું છે, જેના બદલામાં બી.એલ.ઓ. અથવા તો ચૂંટણી વિભાગ ફોર્મ જમા થયા હોવાની રીસિપ આપશે. અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગે તે પણ સ્પષ્ટતા કરીને, સાચા નામ રહી ન જાય અને ખોટા નામ આવી ન જાય, તે માટે એક શુદ્ધિકરણની આ પ્રક્રિયા છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, કોઈ મતદાતાનું નામ કમી નહીં થાય.
અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વ હેઠળ તા. 4 નવેમ્બર 2025 થી તમામ ૩ વિધાનસભા મતવિભાગોમાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરી શરૂ થઈ છે. તા. ૪/૧૧/૨૦૨૫થી ૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે એન્યુમરેશન ફોર્મ વિતરણ કરશે અને મતદારોએ તેમાં વિગતો ભરીને જમા કરાવવાના રહેશે. પરત મળેલ ફોર્મની મુસદ્દા મતદારયાદી તા. ૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થશે, જ્યારે પરત ન મળેલ ફોર્મની અલગ યાદી લગાવવામાં આવશે. ચકાસણી, સુનાવણી અને આધાર પુરાવા પછી આખરી મતદારયાદી તા. ૭/૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરાશે. આ કામગીરી માટે 1047 બીએલઓ અને 123 ડી.એલ.ઓ. સુપરવાઈઝર મારફતે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે તમામ કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે.
આ પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારી, રમતગમત અધિકારી, માહિતી અધિકારી, આદિજાતિ વિભાગના અધિકારી તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ અને જિલ્લાના પત્રકારઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કાર્યક્રમો દ્વારા જિલ્લામાં રાષ્ટ્રીય ગૌરવ, આદિજાતિ સન્માન અને લોકશાહી મજબૂતીકરણના પ્રયાસોને વેગ મળશે.
