સમગ્ર રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થનાર છે ત્યારે અરવલ્લી જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી માટેના આયોજનની બેઠક કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કલેકટરએ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અરવલ્લી જિલ્લામાં જનજાતિય ગૌરવ યાત્રા ૮ નવેમ્બર બપોરે ૩.૪૫ કલાકે રથ ભિલોડા પહોંચશે. જ્યાં રથનું સ્વાગત અને સભા યોજવામાં આવશે. આ સાથે ૮ નવેમ્બર રાત્રે શામળાજી ખાતે રાત્રિસભાનું આયોજન કરવામાં આવશે. તારીખ ૯ નવેમ્બરના રોજ રથ મેઘરજ ખાતે પહોંચશે અને ત્યારબાદ માલપુર તાલુકામાં થઈને રથની અરવલ્લી જિલ્લામાંથી વિદાય થશે.
આ ઉજવણીમાં પ્રભાત ફેરી, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, શપથગ્રહણ સહિત વગેરે પ્રવૃત્તિઓ કરાશે. આદિજાતિમાંથી આવતાં રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રગતીશીલ ખેડુતો વગેરેનું સન્માન કરાશે. વધુમાં સેવા સેતુ અંતર્ગત ગ્રામજનો વિવિધ સરકારી સેવાઓનો લાભ કાર્યક્રમ સ્થળેથી મેળવી શકશે. જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અગાઊ શાળાઓ, કોલેજોમાં રમતગમત, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા , જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર ડી.વી.મકવાણા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા,પ્રાયોજના વહીવટદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
