અરવલ્લી જિલ્લાની મામલતદાર કચેરીઓમાં હજુ પણ રેકર્ડ રૂમના પોટલા ફેંદવા અરજદારો મજબૂર
કેટલીય નોંધો ઓનલાઈન ન હોવાથી ખેડૂતોને હાલાકીઓ
ઈ-ધરા વિભાગના અધિકારીઓ શું કરે છે, તે સવાલ?
મામલતદાર કચેરીની જવાબદારી છે કે નહીં તે પણ એક સવાલ
વારંવાર પોટલા ફેંદવાથી જરૂરી નોંધોનું અસ્તિત્વ ભૂંસાઈ જાય તો નવાઈ નહીં જ્યારે ઓફલાઈન નોંધ લેવા અરજદાર અરજી કરે ત્યારે અરજદારને આપ્યા પછી પણ આ નોંધ ઓનલાઈન થાય, તો પણ ભારણ ઘટે કેટલાક અધિકારીઓને તો કામ જ નથી કરવું બસ… ગણવાનું જ ગમે છે !!!!
અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકાર દ્વારા મહેસુલી વિભાગને પારદર્શક બનાવવા અને ખેડૂતોને ઓનલાઈન ઘરે બેઠા દસ્તાવેજો મળી રહે, તેવા પ્રયાસો કર્યા છે, જોકે હજુ સંપૂર્ણપણે તેની અમલવારી થતી હોય, તેવું લાગતું નથી. ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં આવું વધુ જોવા મળે છે. પહેલા ઉતારા અને નોંધો કઢાવવા માટે ઓફલાઈન સુવિધા હતી, જોકે આધુનિક યુગમાં સરકારે મામલતદાર કચેરીમાં ઈ-ધરા શરૂ કર્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, અરજદારોને ધક્કા ન ખાવા પડે. પણ આજેય મોડાસા, બાયડ, માલપુર, ભિલોડા, શામળાજી, મેઘરજ, સાઠંબા અને ધનસુરા તાલુકામાં જમીનને લગતા દસ્તાવેજો કઢાવવા પોટલા ફેદાવવા જ પડે છે. આવું કેમ ?
રોજે-રોજે કેટલીય અરજીઓ અરવલ્લી જિલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમાં નોંધો કઢાવવા અરજીઓ આવે છે, ખાસ કરીને જે નોંધ ઓનલાઈન ન હોય, તેવી નોંધ ઓફલાઈન રેકર્ડ રૂમમાંથી કઢાવવા માટે અરજદારોને બે થી ત્રણ દિવસનો સમય વેડફવો પડે છે. આવું એટલા માટે કે, કેટલીય નોંધો ઓનલાઈન નથી, જેને કારણે વારંવાર મામલતદાર કચેરીના રેકર્ડ રૂમના પોટલા ફેંદવાને કારણે, કેટલીય નોંધો જળમૂળથી નાશ પામી રહી છે. અને ભવિષ્યમાં ક્યારેય જરૂરય હોય, ત્યારે આવી નોંધ ન મળે.
સરકાર દ્વારા જમીનને લગતી, તમામ વિગતોને ઓનલાઈન કરી દેવામાં આવી છે, જોકે અરવલ્લી જિલ્લામાં ઘણીય નોંધ અને જમીનને લગતા કાગળો ક્યાંક પંચાયતમાં છે અને કેટલાય કાગળો મામલતદાર કચેરીઓના પોટલામાં બંધ કરી દેવાયા છે. આ તમામ રેકર્ડ ઓનલાઈન ક્યારે થશે, તે સવાલ છે. ઈ-ધરા નાયબ મામલતદાર અને મામલતદાર કચેરીની જવાબદારી છે કે નહીં, તે સવાલ છે.
