અમેરિકા દ્વારા વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ ઉત્પન્ન થયેલી તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતે શનિવારે રાત્રે પોતાના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીયોને વેનેઝુએલાની બિનજરૂરી મુસાફરી ટાળવા અને ત્યાં હાજર નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા જણાવ્યું છે.
વિદેશ મંત્રાલયની કડક સલાહ
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને વેનેઝુએલાની તમામ બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સખત સલાહ આપવામાં આવે છે. જે ભારતીયો કોઈપણ કારણોસર વેનેઝુએલામાં છે, તેમને અત્યંત સાવચેતી રાખવા, પોતાની ગતિવિધિઓને મર્યાદિત કરવા અને કારાકાસ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.” મંત્રાલયે ભારતીયોને દૂતાવાસનો સંપર્ક કરવા વિનંતી કરી છે. હાલમાં વેનેઝુએલામાં લગભગ 50 બિન-નિવાસી ભારતીયો (NRIs) અને 30 ભારતીય મૂળના વ્યક્તિઓ (PIOs) છે.






