મહિલાને પગના ભાગે કરડતા સારવાર માટે ખસેડાઈ, ગ્રામજનોમાં ભયનો માહોલ, વન વિભાગ પાસે કપિરાજને પાંજરે પૂરવાની માંગ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. કપિરાજ દ્વારા ગામમાં લોકોને નિશાન બનાવી હુમલા કરવામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
તાજેતરમાં એક મહિલા પર કપિરાજે હુમલો કરીને તેમના પગના ભાગે કરડતા તેમને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે પ્રાથમિક સારવાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગામલોકોના જણાવ્યા મુજબ કપિરાજ અચાનક લોકો પર હુમલો કરી રહ્યો હોવાથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં ખાસ કરીને ભય વ્યાપી ગયો છે. લોકો ઘર બહાર નીકળતાં પણ ગભરાઈ રહ્યા છે. એટલું જ નહીં કપિરાજને ત્રણ થી ચાર વ્યક્તિઓ પર હુમલો કર્યો હોવાની વિગતો મળી છે.
ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે. કપિરાજને પાંજરે પૂરી ગામમાંથી સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે વન વિભાગ આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.






