ગોધરા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.1 નવેમ્બરે તેઓ પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડાની મુલાકાત લઈ જનસભાને સંબોધન કરશે. આ આદિવાસી વિસ્તારમાં તેઓ ₹858 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન શિક્ષણ, શ્રમ અને રોજગાર, તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભર ગામડાઓનું સ્વપ્ન સાકાર કરવા હાકલ કરી છે, સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે. જેના લીધે વિવિધ ગામો અને જિલ્લાઓમાં વિકાસકાર્યોને વેગ મળ્યો છે.
સ્વાતંત્ર્ય સંગ્રામના વીર શહીદો રાજા રૂપસિંહ નાયક અને સંત જોરીયા પરમેશ્વરની યાદમાં તેમના વતન દાંડીયાપુરા અને વડેક ગામની પ્રાથમિક શાળાઓને આ શહીદોના નામ સાથે જોડવામાં આવી છે. આ ઉપરાંત, જાંબુઘોડાથી 8 કિમી દૂર વડેક ગામ ખાતે સંત જોરિયા પરમેશ્વરની સ્મારક પ્રતિમા અને જાંબુઘોડાથી 10.5 કિમી દૂર દાંડિયાપુરા ગામમાં શહીદ રૂપસિંહ નાયક સ્મારક પ્રતિમા પણ બનાવવામાં આવી છે. જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. તાલુકાના પ્રવાસનને વેગ મળે તે માટે શાળાઓના વિકાસ તથા શહીદોની સ્મૃતિમાં ઓડિયો વિઝ્યુઅલ દ્વારા શહીદોની ગાથાનું વર્ણન, ગ્રીન ગ્રાસ પાથ-વે, ઈકો ફ્રેન્ડલી ગાર્ડન, આઉટડોર સિટીંગ ફેસીલીટી વગેરેનું નિર્માણ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹522 કરોડના ગોધરા મેડિકલ કોલેજ અને ₹164 કરોડના કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે.GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપનાને કારણે પંચમહાલ જિલ્લાના લોકોને તેમના જ જિલ્લામાં આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહેશે. જિલ્લાના યુવાનોને MBBSમાં પ્રવેશ મેળવવાની તક મળશે સાથે જ આધુનિક હોસ્પિટલ સ્થપાવાથી વસ્તીના રેશિયોની સામે ડોક્ટરોની અછત ઘટશે. આ હોસ્પિટલ 20 એકર જમીન પર બંધવામાં આવશે, જેમાં MBBSના વિદ્યાર્થીઓ માટે 100 બેઠકો હશે.