વિધાનસભાની ચૂંટણીને લઇને અરવલ્લી જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. બાયડ, મોડાસા અને ભિલોડા બેઠક પર ભાજપે દિગ્ગજ નેતાઓમે મેદાને ઉતારી દીધા છે તો હવે મોડે મોડ કૉંગ્રેસ પાર્ટી દ્વારા દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. આ વખતે બાયડ વિધાનસભા બેઠક પર સૌની નજર છે ત્યારે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની વિજય વિશ્વાસ સંમેલન માલપુર ખાતે યોજાયું હતું, જેમાં કૉંગ્રેસના આગેવાનો તેમજ માલપુર તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
માલપુરના રાજેરા તળાવ નજીક જાહેર સભા યોજાઈ હતી જેમાં ભારતીય કૉંગ્રસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં કંઈ જ ન કર્યું હોવાનું જણાવ્યું હતું. કેરલથી આવેલા ગુજરાત કૉંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન રમેશચેન્ની થલ્લા એ ગુજરાત મૉડલ માત્ર વાતો હોવાનું જણાવ્યું હતું, આ સાથે જ વિજય રૂપાણીને કેમ હટાવી દેવામાં આવ્યા તેના પર સવાલો ઉઠાવ્યા હતા. કૉરોનામાં મૃતકોના પરિવારજનોને કૉંગ્રેસ પાર્ટીએ રૂપિયા ચાર લાખની સહાયની વાત કરી હતી. આ સાથે હાલમાં મોરબીમાં પુલ તુટી પડવાની ઘડનાને લઇને હજુ કોઈ જ કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મોટા માથાઓને ભાજપ છાવરી રહી છે.
પ્રાસંગિક પ્રવચનમાં જગદીશ ઠાકોરે ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણીઓ આવે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરો લાવતી હોય છે ત્યારે કૉંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં ત્રણ લાખ સુધીનું દેવું માફ કરવાની વાત કરી હતી, આ સાથે જ પશુપાલકોને એક લિટર દૂધ પર 5 રૂપિયા સુધીની સબસિડીની પણ વાત કરી હતી. આ સાથે જ અંતરિયાળ વિસ્તારોમાં ત્રણ હજાર જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવા સહિત કન્યા કેળવણી નિ:શુલ્ક કરવાની જગદીશ ઠાકોરે વાત કરી હતી.
આ સાથે જ વિરોધીઓ પર પ્રહાર કરતા ભરતી કૌભાંડ અને પેપર લીક થવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. પરિવારજનો તેમના બાળકો માટે પેટે પાંટા બાંધી દીકરા દીકરીઓને સરકારી નોકરી માટે ભારે જહેમત ઉઠાવતા હોય છે પણ પેપર ફૂટી જવાથી લોકોમાં રોષ છે.આ સાથે જ માલપુરમાં પૉલિસ ભરતી માટે ગ્રાઉન્ડ અને લાયબ્રેરી બનાવવાની વાત કરી હતી. તેમણે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ભાજપ ની મનમાનીથી હવે લોકો કંટાળી ગયા છે અને તેમના જુલ્મથી તમામ લોકો હેરાન થઈ છે. ભાજપ પાસે નાગાઈ કરવા સિવાય કંઈ જ ન હોવાના આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, હવે ગુજરાતમાં પરિવર્તન નો પવન ફૂંકાયો છે. તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાત ગુલામીમાં ધસાઈ જશે.