અમદાવાદના ઓગણજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સમગ્ર પરિસરની મુલાકાત લીધી હતી. તેમજ અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિના દર્શન કર્યા હતા. મહોત્સવના ઉદ્ધાટન પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવા ચૂંટાયેલા ધારાસભ્યો સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશથી હજારો હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા છે. એક મહિનો આ મહોત્સવ ચાલનાર છે. સરદાર પટેલ રિંગ રોડ પર 600 એકર જમીનમાં એક વિશાળ સ્વામીનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું છે. આ નગરમાં પ્રવેશવા માટે 7 જેટલા પ્રવેશદ્ધાર, અક્ષરધામની પ્રતિકૃતિ, પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા, બાળનગરી, ગ્લો ગાર્ડન અને વિવિધ થીમના પ્રદર્શન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.