અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત નગર પંચાયત સમકક્ષની ભિલોડા ગ્રામ પંચાયત કચેરીના સભાખંડમાં ગ્રામસભા યોજાઈ હતી.જાગૃત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી,ગ્રામ પંચાયત સભ્યો,તલાટી કમ મંત્રી કૃપાબેન પટેલ સહિત સ્ટાફ પરીવાર અને જાગૃત ગ્રામજનોની ઉપસ્થિતિ દરમિયાન ગ્રામસભામાં અનેકવિધ પ્રશ્નોની રજુઆત કરાઈ હતી.
ભિલોડા ગ્રામ પંચાયત મત વિસ્તારમાં વર્ષો જુના વણ ઉકેલ્યા પ્રશ્નો હલ થતા નથી ? રસ્તા,પાણી,સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા,સ્મશાન ગૃહ જર્જરિત અવસ્થામાં,જરૂરિયાત વાળા ગરીબ અરજદારોને મફતીયા પ્લોટ મળતા નથી,આવાસ યોજનાઓ લાભ મળતો નથી,પીવાના પાણીની પરબો શરૂ કરવા રજુઆત,ગેરકાયદેસરના કાચા – પાકા દબાણો હટાવવાની રજુઆત,જ્યાં રસ્તાઓ નથી ત્યાં રસ્તાઓ બનાવવાની રજુઆત,હાથમતી નદી કિનારે ખેતી લાયક જમીનોનું ધોવાણ અટકાવવા માટે પ્રોટેકશન દિવાલ બનાવવા રજુઆત સહિત અનેકવિધ પડતર માંગણીઓ સંદર્ભે જાગૃત ગ્રામજનોએ લેખિત અને મૌખિકમાં ન્યાયિક રજુઆત કરી હતી.
ભિલોડા ગ્રામ પંચાયતના જાગૃત સભ્ય સહિત ગ્રામજનોએ લેખિતમાં જણાવ્યું કે, ભિલોડા ગ્રામ પંચાયત મત વિસ્તારમાં બનાવેલા રસ્તાઓની કામગીરી દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યો હોય તે બાબતે ભિલોડા – મેઘરજ ધારાસભ્ય,અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ,કલેક્ટર,જીલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી,તલાટી કમ મંત્રી ને લેખિતમાં રજુઆત કરાઈ છે.
ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, ગ્રામસભા દરમિયાન આવેલ પ્રશ્નો હલ કરવા માટે ભગીરથ પ્રયાસ કરીશ જેમ બને તેમ વિવિધ પડતર પ્રશ્નો ટુંકજ સમયમાં હલ થઈ જશે.