અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં દીપડાઓ વસવાટ કરતા હોવાની સાથે શિકાર અને પાણીની શોધમાં એકલ દોકલ માનવ વસ્તી તરફ ધસી આવતા હોવાના કિસ્સા સમયાંતરે બનતા રહે છે છેલ્લા 15 દિવસથી દીપડા પરિવારે લાલપુર, બોલુન્દ્રા, સરડોઇ, વાંટડા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પડાવ નાખ્યો છે થોડા દિવસ અગાઉ બોલુન્દ્રા પાસે રોડ નજીક બે દીપડા કેમેરામાં કેદ થયાના ગણતરીના દિવસમાં ગઢડા પંથકમાં દીપડાએ ખેતરમાં પશુનું મારણ કરી લિજ્જત માણતા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે દીપડા પરિવારને વન વિભાગ પાંજરે પુરે તેવી લોકમાંગ પ્રબળ બની છે
પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસાના લાલપુરના ભેંગોડીયા ડુંગર પર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના જંગલમાં દીપડા દેખાવાની ઘટના સતત બહાર આવી રહી છે દીપડા રહેણાંક વિસ્તાર નજીક વિહાર કરતા હોવાથી લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે ખેડૂતો અને મજૂરો ખેતરમાં કામકાજ કરવા જતા રીતસરનો ડર સતાવી રહ્યો છે દીપડો નિશાચર પ્રાણી હોવાથી રાત્રીએ શિકાર કરતા પશુ પાલકોમાં પણ ચિંતિત બન્યા છે ગઢડા પંથકમાં દીપડાએ ખેતરમાં પશુનું મારણ કરતા પશુપાલક પર આભ તૂટી પડ્યું હતું