હાલ ચોમાસાની સીઝન છે, ત્યારે વીજ સમસ્યાઓ સર્જાતી રહે છે. ત્યારે અરવલ્લી જિલ્લા વીજ તંત્ર ક્યાંય ધ્યાન નહીં આપે, તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ગાયત્રી મંદિર અને હનુમાનજી મંદિર વચ્ચે એક વીજ ડીપી છે. આ સાથે જ અહીં રહેણાંક અને કોમર્સિયલ બાંધકામો છે, જેથી લોકોની અવર-જવર વધુ રહે છે. આ વચ્ચે અહીં વીજ ડીપી જોખમી જોવા મળી રહી છે. હાઈ વોલ્ટેજ વીજ વાયર્સ અને ખુલ્લી ડીપી ને કારણે કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સવાલ છે.
માલપુર રોડ પર ગાયત્રી મંદિર નજીક વીજ ડીપી ફરતે પ્રોટેક્શન કે સેફ્ટી ગ્રીલ ન હોવાથી, શોર્ટ સર્કિટની ઘટના થઈ શકે છે અને મોટી દુર્ઘટના સર્જાવાની શક્યાતાઓ રહેલ છે. મોડાસા વીજ તંત્ર દ્વારા અહીં વીજ ડીપી ફરતે પ્રોટેક્શન અથવા તો સેફ્ટી ગ્રીલ લગાવવામાં આવે, તો મોટી દુર્ઘટના થતી રોકી શકાય છે. અહીં, ખુલ્લા હાઈ વોલ્ટ વીજ વાયર પણ લટકતા જોવા મળી રહ્યા છે, અહીંથી પસાર થતાં, સ્થાનિક લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર થયા છે. વીજ તંત્ર દ્વારા તાત્કાલિક આ કામગીરી કરવામાં આવે, તેવી માંગ ઉઠવા પામી છે.
