ભિલોડા,તા.૧૫
ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ અને ભિલોડા તાલુકાના ઠાકોર સમાજના સામાજીક આગેવાનો ધ્વારા નીરસાગર પ્લાઝામાં બેઠક યોજાઈ હતી.ઠાકોર સમાજના સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રેલી કાઢી, સુત્રોચ્ચાર પોકાર્યા મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા.ભિલોડા મામલતદાર બી.જી.ડાભીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગુજરાત રાજયમાં કુલ.૧૪૬ સમુદાયો ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ છે પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, માત્ર ૨૦ જેવા જ સામાજીક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભ લઈ રહ્યા છે.૨૦ સમુદાયની સંખ્યા ઓબીસીની કુલ સંખ્યાની ૨૦% પણ નથી પણ ૮૦% અનામતની સીટ લે છે.બીજી તરફ ઠાકોર, કોળી, દેવીપુજક, રાવળ, ગોસ્વામી વણજારા, ધોબી, નાઈ, મોચી જેવા ૧૦૦થી વધુ ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમુદાયો કોઈ જ સકારાત્મક લાભ મેળવી શકતા નથી, તફાવત દુર કરવા ગુજરાત રાજયમાં પણ ઓબીસી આનામત વર્ગીકરણ (OBC Sub-Categorization) તાત્કાલિક અમલમાં મુકવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટના વર્ષ – 1992ના ઈન્દ્રા સાહનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે પણ ઓબીસી અનામત વર્ગીકરણ સંપુર્ણપણે બંધારણીય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દેશના ૧૨ રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજયોનો સમાવેશ થાય છે જેમ કે, મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ અને કેરળ આ બધા રાજયોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે. બિહારમાં તો છેલ્લાં ૫૦ વર્ષથી ઓબીસી અનામત વર્ગીકરણ સફળતાપુર્વક અમલમાં છે.
ગુજરાત રાજયમાં આ નિર્ણય લેવામાં સંપુર્ણપણે સત્તાધિકાર ધરાવે છે અને કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની કોઈ જ જરૂરીયાત નથી તેમજ આ માટે કોઈ નવી જાતિ ગણતરી (Caste Census) કરવાની જરૂર નથી માત્ર એક સર્વે અને એક સમિતિની રચના દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ ૬ મહિના કરતા ઓછા સમયમાં અમલમાં મુકી શકાય, જો ઓબીસી અનામત વર્ગીકરણ નહીં કરવામાં આવે, તો ભવિષ્યમાં ૯૦% ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહથી દુર જ રહેશે પછી સમાવિષ્ટ વિકાસ (Inclusive Development) કેવી રીતે શક્ય બનશે? સમાજના નબળા વર્ગો માટે સરકારે જે હક્કો અને અનામતની વ્યવસ્થા કરી છે તે તમામ સમુદાયોને સમાન રીતે મળી રહે, તે માટે અનામત વર્ગીકરણ અનિવાર્ય છે.ગુજરાત સરકારમાં માંગણી કરવામાં આવે છે કે અન્ય ભારત દેશના અન્ય રાજયોની જેમ તાત્કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મુકવામાં આવે તેમ જણાવ્યું હતું.
ઠાકોર સમાજ અને કોળી સમાજના રાજકીય, સામાજીક આગેવાનો, સામાજીક સંસ્થાઓ, ઠાકોર અને કોળી સમાજના હજ્જારો લોકો એ ગુજરાત રાજયમાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ને સંબોધી પત્ર લખવામાં આવી ચુક્યા છે.ગુજરાત રાજયમાં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટે ની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ગુજરાત રાજયમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે એવી અમારી બુલંદ બળવત્તર માંગણી છે.
