અરવલ્લીમાં જીલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ધનસુરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયો,જેમણે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી.અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.
મંત્રીએ આ શુભ દિવસે સંબોધન કરતા તેમણે જણાવ્યું,આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં દેશ પ્રગતિ અને વિકાસની કૂચ આગળ ધપાવી રહ્યા છે. દેશદાઝ અને રાષ્ટ્રપ્રેમ સૌના દિલમાં આજે પણ અકબંધ રીતે રહ્યા છે. ભાઇચારો એક્તા અને અખંડીતાના દર્શન આપણને કરાવે છે. આજના દિવસે ભારત આત્મનિર્ભરતાથી વિશ્વના દેશોનો મુકાબલો કરી રહ્યો છે. આપણે પ્રાથમિક ઉદ્યોગોથી મોડર્ન ટેક્નોલોજી સુધી અનેક ક્ષેત્રે સ્વયંસાયી બનીને વિકાસની રાહ પર અગ્રેસર રહ્યા છીએ. આપણો દેશ વિવિધ ક્ષેત્રે સામર્થ્યપૂર્ણ છે . આપણી પ્રગતિમાં દેશની સ્વયંનિર્ભરતાના દર્શન થાય છે.
છેવાડાના માણસ સુધી સ્વરાજના મીઠાં ફળ પહોંચાડવામાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારે કમર કસી છે. પરિણામલક્ષી નિષ્ઠા અને જનસેવાની આરાધના માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ સતત પરિશ્રમ કરી રહી છે. અને આ પરિશ્રમના ફળરૂપે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના લક્ષને સાકાર કરવા અને સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. સાથેજ તેમણે જિલ્લાના વિકાસની પણ ઝલક આપી અને જણાવ્યુંકે આજે આપણો જિલ્લો પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે મને જણાવતાં ખુબજ આંનદ થાય છે કે આજે આપણે આ પ્રગતિના સાક્ષી બની રહ્યા છીએ.
આ પર્વની ઉજવણી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને અને રમતવીરોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયા. મંત્રી ના હસ્તે જિલ્લાના વિકાસ માટે ૨૫ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.
આ કાર્યક્રમમાં જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા , જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને ખુબજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.






