મોડાસાના એન.એસ. પટેલ લો કોલેજના આચાર્ય રાજેશ વ્યાસનું વિશેષ સન્માન
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરાયું
મોડાસા: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસાની એન.એસ. પટેલ લો કોલેજના આચાર્ય રાજેશ વ્યાસનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાયદા શિક્ષણ ક્ષેત્રે લાંબા સમયથી કરાયેલી તેમની સમર્પિત કામગીરી અને મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને સન્માનપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રાજેશ વ્યાસ વર્ષ ૨૦૦૭થી એન.એસ. પટેલ લો કોલેજ, મોડાસામાં આચાર્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. કાયદા શિક્ષણ ક્ષેત્રે તેમના લાંબા અનુભવ દરમિયાન તેમણે અનેક વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના લો ફેકલ્ટીના ડીન તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ Ph.D. માર્ગદર્શક તરીકે કાયદા ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપી રહ્યા છે.
તેમની આગવી શૈક્ષણિક દૃષ્ટિ, કુશળ નેતૃત્વ, સંશોધન પ્રત્યેની નિષ્ઠા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની નોંધ લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન બદલ એન.એસ. પટેલ લો કોલેજના પરિવાર, વિદ્યાર્થીઓ તેમજ કાયદા શિક્ષણ ક્ષેત્રે આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.






